વિમાનની મુસાફરીની પીડા અને તેના ઉપાયો
તમને જાણીને નવાઈ લાગશે કે દર વર્ષે લગભગ 1400 જેટલા મૃત્યુ વિમાનમાં કલાકો સુધી સતત બેસીને મુસાફરી કરવાથી થાય છે. સતત બેસી રહેવાને કારણે લોહીનું પરિભ્રમણ મંદ થઈ જાય છે અને પગમાં લોહીનો ભરાવો થવા લાગે છે. આ કારણે પગમાં સોજા થવાની શક્યતા પણ રહે છે. કેટલીક વાર તેમાં લોહી ગંઠાવાની ખૂબ ધીમી પ્રક્રિયા શરૂ થાય છે. ગંઠાયેલા લોહીના આ નાના જાળી જેવા ટુકડાને clot કહેવામાં આવે છે અને આ પ્રક્રીયાને Thrombosis કહેવામાં આવે છે. લોહીની ઊંડી નસોમાં અને ખાસ કરીને પગની પીંડીઓ અથવા સાથળમાં થતી આ પ્રક્રિયાને DVT એટલે કે Deep Vein Thrombosis કહેવામાં આવે છે. clot આમ તો સામાન્ય વાત છે અને તેની મેળે ઓગળી જાય છે પરંતુ જો ફરતો ફરતો આ ટુકડો ફેફસામાં પહોંચી જાય તો ઘાતક નીવડે છે. જેને Pulmonary Embolism કહેવામાં આવે છે. જો સમયસર નિદાન અને સારવાર ન થાય તો તેને કારણે માણસ મૃત્યુ પામે છે. વિમાનમાં બેસી રહેવાને કારણે ઊભી થતી આ સ્થિતિ Economy class syndrome તરીકે જાણીતી છે. તેના લક્ષણોની જલ્દીથી ખબર પડતી નથી. આથી એરોસ્પેસ રાઈટ સ્ટેટ મેડિકલ એસોસિએશનના સભ્ય ડો. સ્ટેનલી મોહલર તેને ચોર રોગ (steel disease) પણ કહે છે. સાચુ નિદાન થતાં કેટલીકવાર ત્રણ-ચાર અઠવાડિયાં નીકળી જાય છે. ક્યારેક તો તે પહેલાં જ દર્દી મૃત્યુને શરણ થઈ જાય છે.
આવા એક જગજાહેર કિસ્સામાં ક્રિસ્ટોફર નામની 28 વર્ષની લગ્નોત્સુક કન્યા 2000ની સાલમાં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ ઓલિમ્પિકમાંથી પાછા ફરતાં લંડનના હિથરો એરપોર્ટ પર જ ઢળી પડી ને મૃત્યુને શરણ થઈ હતી. વેકેશન દરમ્યાન મુસાફરીમાં બે અઠવાડિયા અગાઉ તેણે છાતીના દુ:ખાવાની ફરિયાદ કરી હતી. પણ જંતુઓને કારણ માની તેને દવા આપવામાં આવી હતી. ક્રિસ્ટોફરના મૃત્યુથી વ્યથિત તેની માતાએ DVT ને કારણે આ રીતે થતાં મૃત્યુને અટકાવવા ઝુંબેશ શરૂ કરી અને VARDA (Victim of Air Related Dvt Assosiation) નામની સંસ્થા સ્થાપી.
બીજો એક કિસ્સો છે લોરા સ્મિથ નામની 23 વર્ષની યુવતીનો જેને વિમાનની મુસાફરી પછી બે મહીના સુધી જુદા જુદા ડોક્ટર્સને ડાબા પગમાં દુ:ખાવાની ફરીયાદ કરી. બધાએ સ્નાયુ ખેંચાયાનું નિદાન કર્યુ. નાની ઉંમરનાને DVT ન હોઈ શકે તેવું કેટલાક ડોકટર પણ માનતા હતા. છેવટે દુ:ખાવો વધતા તાત્કાલિક હોસ્પીટલમાં જવું પડ્યું ત્યારે ડોક્ટરે DVT નું નિદાન કર્યું અને તે માંડ બચી.
31 વર્ષની સુઝાનને બાર કલાકની પ્લેનની મુસાફરી બાદ ત્રીજે દિવસે ડાબા પગમાં દુ:ખાવો શરૂ થયો. વારંવારની ડોક્ટરની મુલાકાતો અને દરેક વખતે જુદા જુદા નિદાન અને સારવાર પછી ત્રણ અઠવાડિયા વાદ સાચુ નિદાન થયું. DVT ના આવા તો અનેક કિસ્સાઓ Airhealth.org નામની વેબ સાઈટ પરથી તમને જાણવા મળે. આ વેબ સાઈટ પર કેટલી સહેલાઈથી આમ બનતું અટકાવી શકાય છે તે પણ દર્શાવ્યુ છે. એ વિષે વાત કરતા પહેલાં આવું કેમ બને છે તે જોઈએ.
લોહીના પરિભ્રમણમાં બે પ્રકારની નસો મુખ્ય ભાગ ભજવે છે. (1) ધમની(Artery) જે હૃદયમાંથી શુદ્ધ લોહી શરીરના જુદા જુદા અવયવોને પહોંચાડે છે. (2) શિરા(Vein) જેના દ્વારા જુદા જુદા અવયવોમાંથી અશુદ્ધ લોહી એકઠુ થઈને હૃદયમાં પાછુ ફરે છે.
શરીરમાં ક્યાંય ઈજા થતાં લોહી વહેવા લાગે ત્યારે લોહીના જામી જવાના ગુણને કારણે જ લોહી વધુ બહાર જતું અટકાવી શકાય છે. આમ clot રક્ષણાત્મક કામગીરી બજાવે છે અને જોખમી નથી પરંતુ જો એ પરિભ્રમણમાં રૂકાવટ ઊભી કરે તો જોખમ ઊભુ થઈ શકે.
આવુ ક્યારે અને કેમ બને તે માટે આપણે વિમાનનો જ દાખલો લઈએ કારણ કે વિમાનમાં આમ બનવાનું જોખમ ત્રણ ગણુ વધારે છે. સાંકડી બેઠકમાં એકધારૂં કલાકો બેસવાથી લોહીનું પરિભ્રમણ મંદ પડે છે. આથી ઊંડી નસોમાંથી લોહી પાછું ન ફરી શકવાને કારણે ઘટ્ટ થઈ જાળુ રચે છે જેને આપણે clot કહીએ છીએ. આ clot મોટો થતાંની સાથે જ નાના ટુકડામાં પરિણમે છે. જેને emboli કહેવાય છે. આ ટુકડાઓ ક્યારેક ઓગળી જાય છે ક્યારેક શિરાની દિવાલોમાં ચોંટી જાય છે પણ જો ફરતાં ફરતાં ફેફસા સુધી પહોંચી જાય તો ફેફસામાં જતું લોહી અટકી જાય છે. જો તાત્કાલિક સારવાર ન થાય તો pulmonary embolism થી માણસનું મૃત્યુ થાય છે. ક્યારેક જો આ નાનકડો પાતળા દોરા જેવડો ટુકડો મગજને લોહી પહોંચાડતી ધમનીમાં રુકાવટ લાવે તો પણ મૃત્યુ થવાનો સંભવ છે. સામાન્ય રીતે લોહીના પરિભ્રમણમાં થતી આ ગરબડના કોઈ બાહ્ય ચિહ્નો તુરત નજરે નથી પડતાં. કોઈવાર છાતીમાં કે પગમાં દુ:ખાવો થાય છે તો કોઈવાર શ્વાસોશ્વાસ ઝડપી થવા લાગે કે ચામડી પર નસો ફૂલેલી દેખાવા લાગે એવું બને. પગમાં સોજા થવાની શક્યતા પણ રહે.
યોગ્ય સમયે નિદાન અને સારવારના અભાવે ઓચિંતુ મૃત્યુ થવાના અનેક કિસ્સા બન્યા પછી લોકોમાં અને એરલાઈન્સમાં જાગૃતિ લાવવાના સક્રિય પ્રયાસો હવે સફળ થતા જણાય છે. અને હવે વિમાનની મુસાફરીથી જોખમ વધવાના કારણે DVT થી મૃત્યુ થવાના સંભવનો સંશોધન પછી હવે સરકારી ધોરણે સ્વીકાર થયો છે.
વિમાનની મુસાફરીથી જોખમ વધવાના કારણો નીચે મુજબ છે.
- લાંબો વખત બેસી રહીવાથી
- સાંકડી અને આગળપાછળ ઓછી જગ્યાવાળી બેઠકને કારણે હલનચલન ન થઈ શકે તેવી સ્થિતિને કારણે.
- આલ્કોહોલિક પીણાં પીવાને કારણે ડિહાઈડ્રેશનથી.
- બેઠાં બેઠાં સૂઈ રહેવાથી.
- શરીરના વધુ પડતા નીચા કે ઊંચા બાંધાને કારણે પગની સ્થિતિ સમતોલ ન રહેવાને કારણે.
આ સિવાય બીજાં કેટલાક નીચે મુજબના કારણોસર પણ જોખમ વધી જાય છે.
- 40 થી વધારે વર્ષની ઉંમર ધરાવતાં લોકોમાં.
- અગાઉ જેઓને pulmonary ombosis થયું હોય.
- કેન્સરનો ભોગ બનેલા હોય.
- હાર્ટએટેક આવી ચૂક્યો હોય.
- ગર્ભધારણ કરેલી સ્ત્રીને.
- ડિહાઈડ્રેશનને કારણે.
DVT કાંઈ ગભરાઈ જવા જેવો રોગ નથી. ખુબ સહેલાઈથી નિવારી શકાય તેવી સમસ્યા છે પરંતુ અજ્ઞાનને કારણે ગેરમાર્ગે દોરાવાથી મૃત્યુના સંભવ સુધી લઈ જાય છે.
વિમાનને કારણે DVT અને તેનાથી થતાં મૃત્યુ અટકાવવા માટેના ઉપાયો નીચે મુજબ છે :
:મુસાફરી પહેલાં:
- તાજેતરમાં સર્જરી કરાવેલી ન હોવી જોઈએ.
- 100-150 mg જેટલા ઓછા ડોઝની એસ્પિરીન મુસાફરી શરૂ કર્યાના આગલા દિવસથી શરૂ કરી રોજ ત્રણ થી ચાર દિવસ સુધી દિવસમાં એક વખત લેવી.
- વિમાનમાં બેસતાં પહેલાં ભારે ભોજન ના લેવુ.
- કેફિનવાળા કે આલ્કોહોલિક પીણાં ન પીવા.
- વિમાનમાં બેસવાની થોડીવાર અગાઉ ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવું.
- જો સમય અને સગવડ હોય તો લોહીનું તબીબી પરિક્ષણ કરાવી કાંઈ અસાધારણ હોય તો તે અંગે ડોક્ટરની સલાહ મુજબ વર્તવુ.
: મુસાફરી દરમ્યાન:
- ગોઠણ નીચેની નસો કે સાથળનો ભાગ સીટની ધાર પર દબાય નહી તે રીતે બને ત્યાં સુધી બેસવું.
- પગને બને તેટલા આરામદાયક રીતે ઊંચા ભાગ પર મૂકવા. આ માટે હેન્ડ લગેજ પગની નીચે રાખી શકાય.
- મુસાફરી દરમ્યાન પગને વારે ઘડીને કસરત આપ્યા કરવી.
- બને ત્યાં સુધી પાણીને બદલે sport drink (Electrolytic) પીણું પીવું.
- તંગ કપડાં પહેરવાં નહી. વિમાનમાં પહેરવા માટેના ખાસ પ્રકારના મોજાં આવે છે તે પહેરી શકાય.
- વિમાન જે તે સમયે જે દેશમાં હોય તે દેશની ઘડિયાળ પ્રમાણે રાત્રે જ સૂવું.
- દિવસે સુવાનું ટાળવું. અને બને તો 45 મિનિટથી વધારે સૂવું નહી.
- હળવો ખોરાક લેવો.
- ઓછા ડોઝવાળી એસ્પીરીન લેવી.
: મુસાફરી બાદ:
- ઊતરીને તૂર્ત ભારે ભોજન લેવું નહી.
- ત્રણ દિવસ સુધી ઓછા ડોઝવાળી એસ્પીરીન ચાલુ રાખવી.
- પગમાં સોજા કે દુ:ખાવો, છાતીમાં દુ:ખાવો અથવા શરીરની ચામડી પર નસો આવી હોય તેવું લાગે તો clot છે કે નહી તેનું ખાસ તબીબી પરિક્ષણ કરાવવું.
- પગનો ultrasound કરાવવો હિતાવહ છે. ખાસ કરીને જો કાંઈ અસામાન્ય જણાય તો.
- જો લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ એંશીથી ઓછું હોય તો lung scan કરાવવું જરૂરી છે.
- શ્વાસોચ્છવાસમાં અનિયમિતતા જણાય તો પણ DVT ની ચકાસણી ડોકટર પાસે કરાવી લેવી હિતાવહ છે.
સામાન્ય રીતે 5% લોકોને અન્ય કારણોસર શરીરમાં clot થાય છે. પ્લેનની મુસાફરીથી એવી શક્યતા ત્રણ ગણી વધી જાય છે. વિમાનમાં બેસનારા 3% લોકોને લાંબો સમય સતત બેસવાથી clot થાય છે. જેની સમયસર યોગ્ય સારવારથી જોખમ ટાળી શકાય છે. હવાઈ કર્મચારીઓમાં આ માટેની જાગૃતિ ખૂબ જરૂરી છે. તેમ જ બે સીટ વચ્ચે લેગ રૂમ વધારવાની માગણી પણ ઊઠી છે. જે ભવિષ્યમાં સ્વીકારાશે એવી આશા છે.
ઉદ્યોગોમાં ભાગીદારીને કારણે ભારત અમેરીકાના સંબંધો સુધર્યા છે તેને લીધે આગામી વર્ષોમાં દર વર્ષે ઓછામાં ઓછો દસ ટકા વધારો થવાની શક્યતા છે. એ સમયે આ માહિતી વધુ લોકોને ઉપયોગી થઈ શકે તે હેતુથી સંકલિત કરી છે.
Airhealth.org અને Aviation-health.com પરથી આ અંગે વધુ માહિતી મેળવી શકાશે.
(ગુર્જરી ડાયજેસ્ટ જુલાઈ -2006ના અંકમાં પ્રકાશિત સંકલિત માહિતી…….રેખા સિંધલ)
-
Archives
- November 2009 (1)
- September 2009 (8)
- August 2009 (1)
- July 2009 (1)
- June 2009 (1)
- May 2009 (2)
- April 2009 (1)
- March 2009 (1)
- February 2009 (4)
- January 2009 (2)
- December 2008 (1)
- November 2008 (1)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS