અક્ષયપાત્ર

રેખા સિંધલ

સ્વ. શ્રી આદિલ મન્સૂરીની બે ગઝલો

                                                                 કવિ શ્રી સાથેની યાદગાર ક્ષણો…..   

adil-mansuri-and-me2

(1)

ઝાકળનું મળ્યું જીવન ને સૂર્યમાં ઠરવાનું
કોઈ હવે સમજાવો આદિલને શું કરવાનું

એક પળમાં નીખરવાનું; એક પળમાં વીખરવાનું
આ ફૂલ જે ખીલ્યું તે ખીલીને તો ખરવાનું

સૂરજ તો બધો તડકો ઢોળી દે અહીં સાંજે
ને રોજ સવારે આ કશ્કોલને ભરવાનું

એકલતાની આ કેવી સરહદમાં પ્રવેશું કે
પોતાનાથી વીંટળાઈ પોતાનાથી ડરવાનું

હોડી ન હલેસાં હો સઢ હો ન સુકાની હો
દરિયોય ન દેખાતો ને પાર ઊતરવાનું

ક્યાં મુજને લઈ ચાલી એકાંતભરી રાતો
યાદ આવે સતત તારી ને ખુદને વીસરવાનું

ક્યારેય ન રોકાતો વેગીલો સમય કિંતુ
એક ક્ષણને ઊભી રાખી ને ઊંડા ઊતરવાનું

પગરવ હો ન પડઘા હો, થડકાર ન ધબકાર
એકલતા લપેટીને અવકાશમાં ફરવાનું

સરખા જ બધા લાગે; ના ભેદ કોઈ જાગે
એહરામ પહેરીને મક્કામાં ઊતરવાનું

બીજું તો કશું આદિલ ક્યાં યાદ હવે અમને
હર શ્વાસના ઊંડાણે એક નામને સ્મરવાનું

(2)

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

November 10, 2008 Posted by અક્ષયપાત્ર | ગઝલ | | 8 Comments