અક્ષયપાત્ર

રેખા સિંધલ

લેખિકા પૂજ્ય કલાવતીબેન વોરાની વિદાય

rekha_and_kalaben1

જાન્યુઆરી 5, 2009ના રોજ સ્વર્ગારોહણ કરનાર વિભૂતિ શ્રીમતિ કલાબેન વોરાને હું પ્રથમવાર મળી એ પહેલાંથી તેઓ મારા દિલમાં વસેલા હતા. એક જમાનામાં અખંડઆનંદમાં ગૃહગંગાને તીરે મારો પ્રિય વિભાગ હતો. કલાવતી વોરાનું નામ કેટલીય વાર અહીં વાંચેલ. આમ મારા ઘડતરમાં એમનો ફાળો હું એમને મળી એ અગાઉથી હતો. હું કિશોરાવસ્થામાં હતી ત્યારથી એમના વિચારો ગ્રહણ કરતી હતી એ સમયે તેઓ મારી ઘણી નજીક છતાં દૂર હતા.એમને ક્યારેય મળવાનું સદભાગ્ય સાંપડશે તેવી કલ્પના પણ કરી નહોતી. એ પછી વર્ષો બાદ બોસ્ટનના વસવાટ દરમ્યાન એમની સાથેની મૈત્રીથી હું સભર બની હતી. મને તેઓ તેમના પરિવારની સભ્ય સમાન ગણતા જે તેમની મહત્તા હતી. એમના વિશાળ પરિવારના તેઓ પ્રિય અને પૂજ્ય વડીલ હતા. અને મારા વડીલ મિત્ર હતા. એમની જીવનદ્રષ્ટી ઘણી વિશાળ હતી. દુ:ખની પળોમાં અને સુખના માહોલમાં એમની સમતા અનન્ય હતી. એમની અત્યંત વ્હાલી પૌત્રીનું નાની ઉંમરે અણધાર્યુ મૃત્યુ થયુ તે પળોમાં એમના મુખે બે જ વાત હતી. એક તરફ પોતાની વ્યથા ભગવાને એના બદલે મને કેમ ન લઈ લીધી? અને બીજી તરફ હિંમત જાળવીને પોતાની પુત્રીને આ દુ:ખમાંથી બહાર લાવવાના એમના મમતાભર્યા પયત્નમાં વ્હાલી માતાના સ્નેહ અને વ્હાલા દાદીમાની હ્રદયવિદારક વ્યથા વચ્ચે સમતુલાની હું સાક્ષી થઈ હતી. એ સમયે જીવન વિષેના હકારાત્મક અભિગમ થકી જ એમણે મૃત્યુના પડકારને પણ થંભાવ્યો હતો. એમના સાત્વિક પ્રેમનું ખેચાણ મને હંમેશા રહેતું. નાજુક તબિયત છતાં નેશવીલ મારા આમંત્રણને માન આપીને 2001માં તેઓ આવ્યા હતા ત્યારે જગતના કેટલાક મહાન કવિઓ અને લેખકોની રસકૃતિઓ ફરીને અમે સાથે માણેલી. નવેમ્બર 2008માં અમે મળ્યા ત્યારે અમને બંનેને જાણ હતી કે આ છેલ્લી મુલાકાત છે. થોડા દિવસોમાં જ એમનો દેહવિલય થયો પરંતુ એમની સાથે ગાળેલા યાદગાર સમયના સંભારણાની મૂડી તેઓ આપતા ગયા છે. જે સદા ય મારી સાથે રહેશે. પૂ. કલાવતી વોરાના બહાર પડેલા સાહિત્યમાં વાર્તાઓ ઉપરાંત એક નોંધપાત્ર પુસ્તક છે. ગુજરાતના સાહિત્ય સર્જકો (ચિત્રોમાં અને શબ્દોમાં). પિતાવિહોણા બચપણથી શરૂ કરી એમના જીવનના સંઘર્ષની સાથે એમની પર વરસતી રહેતી ઈશ્વરકૃપાની વાતમાં દરેકના ગુણ જોવાની એમની દ્રષ્ટિ સ્પષ્ટ થતી. એમના પ્રિય કવિ ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ સાથે આ ઉચ્ચકોટિ આત્માને શતશત પ્રણામ.

 

ક્ષણો ઝડપવી અગણ્ય ક્ષણમાંથી એકાદ બે,

અને સમયના અનંત ટહુકાર એમાં ફૂંકી,

સ્ફુરાવવી જગે;

અતાગ અવકાશમાં અણુ શી અલ્પ આ પૃથ્વીનાં

સ્ફુરે શ્વસન ચાર, અંતવિણ આ મહા મહાકાલમાં.

 

પૂજ્ય કલાવતીબેન વોરાના દિવ્ય આત્માની પરમશાંતી માટેની પ્રાર્થના સહ વંદન.

 

 

January 28, 2009 Posted by અક્ષયપાત્ર | પ્રતિભાવ, સ્વરચિત કૃતિઓ | | 5 Comments

નીલમ દોશી લિખિત પુસ્તક “દીકરી મારી દોસ્ત” વાંચ્યા પછીનો પ્રતિભાવ

સ્ત્રી ની ત્રણ મુખ્ય ભૂમિકા, પુત્રી, પત્ની અને માતા. માતાના સંસ્કાર જ પુત્રીને સારી પત્ની બનાવી શકે. એક માતા સો શિક્ષક બરાબર અને એમાં ય જો તે માતા રાજ્યના કેળવણી ક્ષેત્રે પણ પ્રદાન કરી શકે તેટલી સક્ષમ હોય, બાળકોને સારા સંસ્કાર આપવા માટે તેના હાથે લખાયેલ પુસ્તક અભ્યાસક્રમનો ભાગ બન્યું હોય. ત્યારે તેની સંસ્કાર આપવાની પધ્ધતિ વિષે જરૂર માન ઉપજે. આજના જમાનામાં સ્ત્રીને વ્યવસાય ઉપરાંતની ઘર અને વ્યવહાર ચલાવવાની જવાબદારીઓ તો યથાવત જ  છે. ત્યારે તેનું  વ્યક્તિત્વ વિભાજીત થતું રહે છે.

 

 આ વ્યક્તિત્વને સબળ કરતું પુસ્તક એટલે દીકરી મારી દોસ્ત……….

 

પુસ્તક વાંચ્યા પછી સાનંદાઆશ્ચર્ય સાથે મારે કબૂલવું પડે કે આ પુસ્તક એક અલગ જ ભાત પાડે છે. એમાં અવાસ્તવિક આદર્શોની વાતો નથી કે નથી ફક્ત દીકરી માટેની ભાવનાના પૂર. લાગણીઓના વહેણમાં વાંચક એ રીતે ઝબોળાય છે કે પોતાની સાથે અન્યની લાગણીઓને પણ સમજતો થાય. દીકરીને દોસ્ત તરીકે પોતાના અનુભવના પ્રદેશમાં એક અલગ દ્રષ્ટી સાથે માતા વિહાર કરાવે છે. જેથી એની સંવેદનશીલતા વધે અને એનું સ્ત્રીત્વ જ નહી પણ મનુષ્યત્વ પણ નિખરતું રહે. પ્રથમ પ્રકરણમાં લેખિકા જ્યારે પુત્રીના જન્મ પ્રસંગે પેંડા વહેંચે છે ત્યારે બાજુમાં બીજી સ્ત્રી એ જ કારણથી આંસુ સારે છે. ત્યારે સમાજમાં ફેલાયેલ અંધકાર વચ્ચે બુઝાતી ખુશીઓને પેંડા વેંચતી માતા ફૂંક મારી પ્રજ્જવલીત કરવાની કોશિશ કરે છે. અને એની સંવેદનશીલતા સ્વથી વિસ્તરી સમાજ અને દેશકાળને અતિક્રમે છે. આસપાસના દુ:ખો એને પીડે છે ત્યારે એ દુ:ખો દૂર કરવા માટેની ભાવના વધે છે, નહી કે એનાથી દૂર રહેવાની.  

                                                                                                                   

છ વરસની પુત્રીની માતાને લઈ લેવા માટે ઈશ્વરને પણ એના અન્યાયની યાદ અપાવવાનો લેખિકાનો પ્રયાસ કોઈ પણ પુત્રીની માતાને હૈયે રૂદન જગાડે છે. આવા તો કેટલાય પ્રસંગો આપણને ઢંઢોળીને જાગૃત કરે છે.

 

જીન્સ પહેરતી અત્યારની પેઢીને સ્વાવલંબી થવાની સાથે જે મૂલ્યો જાળવવાના છે તેમાં સમય પ્રમાણે મર્યાદાની વ્યાખ્યા બદલાઈ છે. સ્ત્રીએ ઘુમટામાં રહી પોતાની ઈચ્છાઓની બલિ આપવાનો યુગ પુરો થયો પણ બીજાની ઈચ્છાઓનો આદર કરતા તો દરેક દીકરીએ યાદ રાખવું જ રહ્યું. નારીને મૃદુ થવા પ્રેરતું આ પુસ્તક નારીવાદનો ઝંડો લઈ ક્યાંક ક્યાંક પાંગરતી ઉદંડતાને ઠંડી પાડશે.

 

ભગવાનને અભિષેક માટે કે મૃત પુત્રને પાવા માટે દૂધ ચઢાવવાને બદલે મંદિર બહાર બેઠેલા ભૂખ્યા બાળકોને પાવાથી ઈશ્વરને પહોંચે એ વાત સમાજમાં ત્યારે જ વ્યાપ્ત થશે જ્યારે પુત્રીમાં સુષુપ્ત માતાને એ સંસ્કાર આપવામાં આવે. એવી માતાના દર્શન આ પુસ્તકમાં થાય છે.

 

થોડામાં ઘણુ કહેતું આ પુસ્તક વાંચીને લેખિકાની મિત્ર તરીકેના ગર્વ ઉપરાંત એક માતા તરીકે આંખના ખૂણા ભીના કરી ગયું.

 

કૂજે કુંજતી કોયલ

રેલે પંચમ સ્વર

ટહુકે મન…..

અને વળી,

 

ઊછળકૂદ કરતું એક મોજું તાણી ગયુ

રેતી પર લખેલ એક નામ

અને

અસ્તિત્વ મિટાવ્યાનો એને ઊગ્યો વ્હેમ

 

આવી સુંદર પંકતિઓ ભાવનાનો શણગાર થઈ પુસ્તકમાં ઠેર ઠેર ઝબકે છે.

આ સુંદર પુસ્તક માટે નીલમ દોશીનો ખુબ ખુબ આભાર ! અને બીજું પુસ્તક લખવા માટેની શુભેચ્છાઓ સાથે ધન્યવાદ.

 

September 15, 2008 Posted by અક્ષયપાત્ર | પ્રતિભાવ | | 5 Comments