અક્ષયપાત્ર

રેખા સિંધલ

જન્મદિવસની પ્રાર્થના ……..કુન્દનિકા કાપડીયા

આમ તો દરેક દિવસ એ, ભગવાન !

તમે આપેલી તાજી ભેટ છે.

જાગૃત માણસ માટે દરેક નવો દિવસ નવી શરૂઆત બની શકે

પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે.

અને એટલે આજનો દિવસ

વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.

 

આજના દિવસે, ભગવાન ! હું

ધન માન કીર્તિ અને આરોગ્ય નથી માંગતો

પણ આ બધુ મને મળે

તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું

એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

 

આજના દિવસે ભગવાન ! હું એમ નથી માંગતો કે

મારો રસ્તો સરળ બને, મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે

પણ એમ બને તો, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે

એ હું માંગુ છું.

 

 

લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે

તરુણાઈ અને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય આપે છે

પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને આ અભિમાનમાં

મારો માર્ગ તમારાથી દૂર ન નીકળી જાય

એ હું માંગુ છું.

 

 

જીવનને સાચી અને સારી રીતે જીવવા માટેની સમજણ માગું છું.

 

 

અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ સંપતિ મેળવવાનો

જીવનની હરણફાળમાં બીજાથી આગળ ને આગળ

નીકળી જવાનો અવસર છે:

અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે કરીશું

અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી -

એવું હું માનવા ન લાગું, એ આજે માગું છું

કારણ કે, પ્રાર્થના કરવી

તમારી નીકટ આવવું

એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ તો હૃદયનો સવાલ છે.

 

 

જુવાન હોઈએ ત્યારે એમ વર્તીએ છીએ

જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી

પણ સુર્યને ઢળતો અટકાવી શકાતો નથી

ફૂલને કરમાતું રોકી શકાતું નથી.

 

 

એટલે અમારી આ ખુમારી, આ થનગનાટ, આભવીંઝતી પાંખો

અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ

સદાકાળ ટકી રહો એવી મારી માંગણી નથી.

પણ એ બધું અસ્ત પામે ત્યારે

એવી અદકી સુંદર બાબતો-

પરિપકવતા, સૌમ્યતા, માયાળુતા, બીજાને સમજવાની શક્તિ

મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.

 

આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે

તે માટે હું તમારો આભાર માનું છું.

હું એવું હૃદય માંગું છું, જે આ દુનિયાને

તમારા માટે ચાહી શકે.

આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સરજી છે

એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું

મૂંગા પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-સૃષ્ટિને ચાહું

હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરૂં.

 

 

દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચઢું

દરેક પગલે હું થોડોક તમારી નીકટ આવું

રોજેરોજ, કોઈક સત્કર્મથી મારા હૃદયમાં રહેલા તમને વ્યક્ત કરું

દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું

દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે

આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું

                                                   - એ હું માગું છું.

 

એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે.

એ મને યાદ આપે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.

દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી

આવતીકાલે કદાચ હું ન પણ હોઉં

તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું.

દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ માનું

અને પ્રત્યેક દિવસે વિદાય લેવા

મારા જીવનની ચાદર ઊજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું

આજે, જન્મદિવસે ભગવાન !

એ હું તમારી પાસે માંગુ છું

 

(પરમ સમીપે માંથી.. સાભાર)

 
 
 

 

March 5, 2009 Posted by અક્ષયપાત્ર | પ્રાર્થના | | 8 Comments

સ્વજનની વિદાય વેળાએ.. – રચયિતા કુન્દનિકા કાપડીયા

અમે મનુષ્ય છીએ ને, ભગવાન

એટલે કોઈકવાર સાવ ભાંગી પડીએ છીએ,

અમારા બધા દીવા એકી સાથે ઓલવાઈ જાય છે.

 

અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય

સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતા હોઈએ

ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે છે

અમારામાંથી એક જણને અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે.

અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઈ જાય છે

પગ તળેથી ધરતી ફસકી પડે છે.

 

અમારૂં હ્રદય વિષાદથી ભરાઈ રહે છે

દિવસો બધા દીર્ઘ અને સુના બની જાય છે, રાતો બધી નિદ્રાહીન;

આંસુભરી આંખે અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.

આ શું થયું? આ શું થઈ ગયું? એવી મૂઢતા

                                   અમને ઘેરી વળે છે.

ભગવાન,  તમે આ શું કર્યું? એમ વ્યાકુળતાથી અમે

                                   ચિત્કારી ઊઠીએ છીએ.

 

પણ તમારી ઈચ્છાને સમર્પણ કર્યા વિના

તમારી રીત અમે શી રીતે સમજી શકીએ?

આ વજ્રઘાત પાછળ તમારો કોઈ હેતુ હશે જ.

તમારી દ્રષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ, યોગ્ય અને હેતુસરનું હશે.

કદાચ અમે સલામતિમાં ઊંઘી ગયાં હતાં

કદાચ અમે ભૂલી ગયા હતા કે અમે અહીં સદાકાળ

                                  ટકી રહેવાનાં નથી

તમે અમને ભાન કરાવ્યું કે

જે ફૂલ ખીલે છે તે ખરવું પણ જોઈએ.

અમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે.

હારેલાં, પરાજીત, વેદનાથી વીંધાયેલા અમે

તમારે શરણે આવીએ છીએ.

આ ઘોર વિપદમાંથી અમને પાર ઊતરવાનું બળ આપો

અમને સમતા અને શાંતી આપો,

        ધીરજ અને શ્રદ્ધા આપો, કે

અમે હિંમંતપૂર્વક જીવન જીવીએ

વ્યર્થવિલાપમાં સમય ન વેડફીએ

શોકને હૈયે વળગાડીને ન ફરીએ;

આંસુથી અંધારા બનેલા પથ પર

અમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ

વ્યથાનાં વમળોમાંથી જ અમે સત ચિત આનંદનું

                            કેન્દ્ર શોધી કાઢીએ;

મૃત્યુના અસુર્ય-લોકમાંથી નીકળી અમે

શાશ્વત જીવન પર દ્રષ્ટિ માંડીએ;

અને

પાર્થિવ સંબંધના બધા તાર તુટી ગયેલા લાગે,

ત્યારે એક અમૃતલોક એવો છે કે

જ્યાં કોઈ વિચ્છેદ નથી, કોઈ વિનાશ નથી

એનું અમે દર્શન પામીએ, એ માટે

                  અમને બળ આપો

                       પ્રકાશ આપો

                        પ્રજ્ઞા આપો.

 

September 24, 2008 Posted by અક્ષયપાત્ર | પ્રાર્થના | | 3 Comments