થંભ્યો સમય

દોડતી હતી હું ત્યારે
દોડ્યો હતો સમય સાથસાથ
થંભી હું તો દીધી હાથતાળી
સૂરજની સાથ સાથ ઉગે ને આથમે
ઘેનમાં, સ્વપ્નમાં, દૂર દૂર દેશમાં
સરતી હું ભૂત, ભાવિ, આજના આભાસમાં
બદલતો વેશ છૂપી મુખરેખા ને કેશમાં
રમતો રમાડતો સેજમાં ને સૈયરમાં
ફૂલડાં બાલવાડીના સંગ મલકે
ને છલકે આંસુથી સુખદુઃખમાં
ઉદાસીમાં જાય નહી જાકારે
રીજવે ધરે મોંઘેરી ભેટ
સૂર સંગીત નૃત્ય રસપાનની
કાંડેથી છોડી પટ્ટી ઘડિયાળની
કરૂં તૈયારી ચિરનિદ્રા તણી
અંતે…મૃત્યુના દ્વારે કહેતો કાનમાં
ચાલ અનંતની સફરે…હવે થંભ્યો છું હું તારી રાહમાં !

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

નીલમ દોશીની એક લધુતમકથા વિષેઃ

અસ્મિતાપર્વ-૨૦૧૮ ના કાર્યક્રમોમાંથી મારી પ્રિય મિત્ર નિલમ દોશીની સંક્ષિપ્ત કથાઓની વિડિયો ક્લીપ જોઈ-સાંભળી તેનો પ્રતિભાવ અહીં લખવાની પ્રેરણા થઈ.

માઈક્રોફિકશન વાર્તાઓએ હમણાંથી ગુજરાતીમાં ઘણી પ્રગતિ કરી હોવાની મને નિલમ દ્વારા જ જાણ થઈ છે. થોડા શબ્દોમાં ઘણું કહેવાનું કે સાંભળવાનું કે વાંચવાનું મારી માફક ઘણાને ગમતું હશે તેથી આ પ્રગતિ જારી રહેશે એમ માનું છું

નીલમે કરેલા પઠનની વિડિયો ક્લીપ અહીં મૂકીને તેની વાત કરતા પહેલાં હું એક વાત એ કહેવા માંગુ છું કે માઈક્રોફિક્શન અને ડાયાસ્પોરા જેવા વિદેશો શબ્દોને સ્થાને ગુજરાતી શબ્દ શોધવાનો અઘરો છે પણ વ્યાખ્યા કરવી કદાચ સરળ છે.  કલાના વિદેશી પ્રકારોનો આપણા સાહિત્ય સાથે સમન્વય થાય તે એક આવકારદાયક પગલું છે.

અહીં હું નીલમની ફક્ત એક જ વાર્તા વિષે લખવા માંગુ છું અને તે માઈક્રોફિકશન વાર્તા છે. માઈક્રોફિકશન ની મારી વ્યાખ્યા પ્રમાણે એક વાક્યની વાર્તા તે માઈક્રોફિકશન. વાકયની લંબાઈ નાની મોટી હોઈ શકે. આ વાક્યને શબ્દ મર્યાદામાં બાંધ્યા વગર જેટલું ચોટદાર કરી શકાય તેટલી વાર્તા અસરકારક. આ વાક્ય વાંચતા જ વાર્તાના એક પછી એક દ્રશ્યો માનસપટ ઉભરાવા લાગે તેની સફળતા!

માઈક્રો એટલે સૂક્ષ્મ અને ફિક્શન એટલે કાલ્પનિક આ બંને વાત સાથે જોડાઈને જીવનના કોઈ અદીઠ સત્યને ભાવપ્રદેશ સાથે જોડી શકે ત્યારે વાર્તા અસરકારક બની શકે. એક વાક્યની આવી જ એક સ્વરચિત લઘુતમકથા નિલમ દોશીએ કહી સંભળાવી જે ઘણી વિચારપ્રેરક છે.

“કોલેજમાં એકમેક સામે કતરાતી ચાર આંખો આજે  વૃધ્ધાશ્રમમાં ભેટી પડી”

૧૦ શબ્દોના બનેલ આ એક વાક્યની લઘુ(તમ)કથા પર અનેક પ્રકરણો લખી શકાય. દરેક શબ્દનું એક વિશ્વ રચી શકાય અને એ વિશ્વમાં અનેક વાર્તાઓ સમાય શકે તે તેની ખૂબી છે.

વાક્યનો પ્રથમ શબ્દ ‘કોલેજમાં’ એટલે કે ‘યુવાનીમાં’ અને યૌવન જ્યારે પાંખ વિંઝતું હોય ત્યારે અસીમ આકાશની અનંત શક્યતાઓનું મુંઝવણભર્યુ વિસ્મય જ્યારે પંથ નક્કી કરવા પ્રેરે પણ દશા અને દિશાની પૂરી ખબર ન હોય ત્યારે ‘એકમેક’ ના સાથની તો શી વાત?  વળી તે પછીનો શબ્દ ‘સામે’ સૂચવે છે કે દિશા સ્પષ્ટ ન હોવા છતાં બિલકુલ અલગ તો છે જ. કતરાવાની વાત અહીંથી જ તો શરુ થાય છે. ‘ચાર’ શબ્દમાં બે વ્યક્તિનું સૂચન છે. આ બે વ્યક્તિ સ્ત્રી અને પુરુષ છે એવી કોઈ સ્પષ્ટતા અહીં નથી. તે એની ખૂબી કહી શકાય. બે પુરૂષો કે બે સ્ત્રીઓ પણ હોઈ શકે. વાર્તાઓ ઉપાડ અલગ અલગ ત્રણ રીતે થવાની શક્યતાએ મધ્યાંતરને રહસ્યમય ભૂમિકા પર મૂકી જાણ્યું એટલું જ નહી પણ આંખો જ્યારે કતરાતી હોય ત્યારે એમાં મૈત્રીનો ભાવ તો નથી એ સ્પષ્ટ છે. બે અલગ જૂથના બે નેતાઓ પણ હોઈ શકે અને આવનારા દિવસોમાં થનારી લડાઈના અંકુર પણ તેમાંથી ફૂટી શકે. બે સ્ત્રીઓની કતરાતી આંખો ઈર્ષ્યાની જ્વાળાઓને પ્રગટાવી શકે. લડાઈ ઘરની હોય કે બહારની, લડાઈની શરૂઆતના આ એંધાણ મનુષ્યના અહમમાંથી પ્રગટે છે અને આ અહમ સમન્વય અને મૈત્રીને બદલે વિરોધ અને અસ્વીકાર તરફ લઈ જઈ વિષમતા સર્જે છે જે કતરાતી આંખોમાંથી વહે છે. આપણી આસપાસના જગતમાં આ વિષય પર અનેક વાર્તાઓ આપણે સાંભળી હોય તેમાંની કેટલીક એકબીજા સાથે વણાઈને આપણા માનસ પટ એક નવી જ વાર્તા રચે છે જેનો મનભાવન અંત આ એકવાક્યની વાર્તા સાથે જોડાઈ જઈને આપણને રસપાનનો આનંદ બક્ષે છે.

રસપાનનો આ આનંદ સૌથી વધારે વિજાતિય પ્રેમની વાર્તાઓમાંથી લૂંટાતો જોવા મળતો હોઈ સહજ ને  સામાન્ય રીતે આ વાર્તા એક યુવક અને યુવતિની હોવાની કલ્પના જન્મે. જેમનો અહમ એકબીજા સામે આંખ મેળવી શકતો નથી અને કતરાયા કરે પરંતુ અંતરમાં ઊંડે પ્રેમની સરવાણી તો છે જ જે અન્યોન્યને એટલે કે વિજાતિય સાથને ઝંખે છે એ ઝંખના સુષુપ્ત છે. પ્રેમના અંકુર એમાં ફૂટે તે પહેલાં તો સમયની વહેતી સરવાણીમાં સ્થળ અને સંજોગો બદલાય છે અને બંને પાત્રો વિખૂટા પડી જાય. પ્રેમના વ્હેણ પણ અલગ દિશામાં વળી જાય અને જીવનની અનેક કસોટીઓમાંથી પસાર થતા થતા સમયનું મૂલ્ય સમજાય અને મધૂર પળોની ગુમાવેલી તકોનો ક્યારેક અફસોસ પણ થાય. ભવિષ્યની આશા અને યોજનાઓમાં ખોવાઈ જવાની સાથે જૂની યાદો પણ પીંછાને જેમ ખરતી જાય. અલગ અલગ પાત્રના અલગ અલગ પ્રસંગો અને ઘટનાઓ પાછળનું સત્ય તો એકસમાન જ રહે છે.  ઘડપણ છાંયડો શોધવા નીકળી પડે અને વૃદ્ધાશ્રમના આંગણે આવીને ઊભુ રહે ત્યારે અતિતની કેટલીય ભૂલો સ્વર્ગથી ઉતરેલા પશ્ચાતાપના વિપુલ ઝરણામાં ડૂબકી મારે છે ત્યારે પ્રેમની ઝંખના તીવ્ર થતી જાય છે અને ઓગળેલો અહમ નેહ તરફ ગતિ આરંભે છે. વિરોધો શમતા જાય છે તે સમયે સમભાવી કોઈ સાથે મળી જાય તો આંખો ભેટીને હસી પડે કે સુખના આંસુથી કદાય છલકાય પણ પડે. ભૂતકાળની પળ સાથે વર્તમાનની પળ જોડાઈને સમયે રચેલા અંતરને ઓગાળી પ્રેમ અને આનંદ થકી જીવનના સુખદ અંતની આશા જન્માવે ત્યારે વૃદ્ધાવસ્થાના સંભવિત દુઃખદ અંતની નિરાશાઓ ઘડીભર માટે તો ખુબ દૂર ધકેલાય જાય. કદાચ કાયમ માટે પણ! અને આ સમયે લિંગભેદનું ભાન પણ ઓસરતુ જતું હોવાથી પાત્રો સજાતિય હોય કે વિજાતિય પણ આનંદની માત્રા સમાન રહે છે. કેટકેટલા જીવન અને કેટકેટલા પાત્રોની કંઈ કેટલીય વાર્તાઓ મનના ચિત્રપટ પર ઉપસાવી શકવાની ક્ષમતા ધરાવતી નીલમ દોશીની લખેલી આ માઈક્રોફિકશન વાર્તા મનને ખુબ ભાવી ગઈ. પ્રેમની સુવાહક એવી આંખોમાં અમી ઉભરાવા લાગે અને જીવનની ગતિ સમાપ્તિ તરફ વહેતી હોય ત્યારે જગતમાંથી શું લઈ જવાનું છે તે વિચાર અર્થહીન છે પણ શું આપીને જઈ શકાય તેવા વિચારોની પ્રેરણા આવી ઉતમ વાર્તાઓમાંથી મળી શકે. મિત્ર નીલમને ધન્યવાદ !

Posted in પ્રતિભાવ, સ્વરચિત કૃતિ | 5 ટિપ્પણીઓ

જીવન ઝરમર – સ્વ. શ્રી વી.સી. ચૌહાણ

IMG_5293.jpg

આજથી પચાસ વર્ષ પહેલાના સમયમાં જ્યારે આપણા રબારી સમાજમાં ભણતર કરતાં દૂધ વેચવાના પરંપરાગત વ્યવસાયનું મૂલ્ય વધારે હતું અને ઘરમાં વીજળીના દીવા મર્યાદિત હતા ત્યારે શેરીની સરકારી લાઈટના થાંભલા નીચે ધ્યાનમગ્નતાથી ભણી હમેંશ પ્રથમવર્ગના ગુંણાક સાથે સ્કોલરશીપ મેળવી ચાર્ટર એકાઉન્ટન્ટની ભારતની સૌ પ્રથમ બેચના જૂજ તેજસ્વી વિદ્યાર્થીઓમાંના એકમાત્ર રબારી શ્રી વીરાભાઈ ચીનાભાઈ ચૌહાણ (જન્મ ૧૯૨૬ – મૃત્યુ ૨૦૧૭) ની જીવન ઝરમર સાથે શ્રદ્ધાજંલિ અર્પતા હ્રદયમાં આદરની લાગણી આપોઆપ જ જન્મે છે.

અંતરના આનંદની ઝલક એમના સદાય હસતા ચહેરા પર પ્રકાશતી જોવા મળતી એ એમની ખાસ લાક્ષણિકતા! સ્વભાવે શાંત અને અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા આ તેજસ્વી રબારીનો બુદ્ધિ આંક ઘણો ઊંચો હતો એટલું જ લગભગ બધા જ વિષયોનું વિશેષ માહિતિ જ્ઞાન તેઓ ધરાવતા હતા  તે તો એમની સાથે વાત કરવાની તક મળી હોય તેને જ ખબર પડે. જ્ઞાનનું પ્રદર્શન જરા યે નહી અને બોલવા કરતા સાંભળવાનું વિશેષ એ એમની સ્વભાવગત ખૂબી. ભરપૂર સંતોષ એ એમની સૌથી મોટી મૂડી અને એનાથી એમનું જીવન હમેંશા સમૃદ્ધ રહેતું.

૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં ભણેલ રબારીને અન્ય સમાજની સાથે સાથે પોતાના સમાજની અવગણનાનો સામનો પણ કરવો પડે તો તે વાત તેમને મન સાવ સ્વાભાવિક હતી. વીરાભાઈની એકલપંથી પ્રગતિના અનુભવો પ્રેરણાદાયક છે.

૧૯૫૩ના એ સમયમાં સૌરાષ્ટ્રથી મુંબઈ સ્થાળાંતર કરવું તે દેશથી પરદેશ જવા સમાન સાહસ હતું. આ સાહસમાં ઈમાનદારી અને સાચી મહેનત થકી એમણે સફળતા મેળવી. દેવયાનીબેન સાથે લગ્ન પણ એ જ અરસામાં થયા. કન્યાકેળવણીનો વિચાર હાસ્યાસ્પદ ગણતો હતો એ વખતમાં પત્નીને ભણવાની સવલત આપવી તે તો સુધરેલા ગણાતા સમાજમાં પણ અમલમાં મૂકવો અઘરો એવો આદર્શ ગણાતો હતો ત્યારે પત્નીને શાળામાં દાખલ કરી બધી સવલતો સાથે તક આપી હતી.

અનેક અગવડો અને આર્થિક સંકટો પાર કરી ૧૯૫૭માં ચાર્ટર એકાઉન્ટન્ટ તરીકે કારકીર્દિ શરુ કરી ને સંસાર માંડયો પરંતુ એમની ધીરજની કસોટી બાકી હોય તેમ ઈશ્વરે શેર માટીની ઉણપ છેક ૧૯૭૩માં દૂર કરી. એકના એક પુત્ર જયદીપને ભણાવી ગણાવી સંસ્કારના ઉત્તમ વારસા સાથે  ૧૯૯૮માં અમેરીકા મોકલ્યો. પુત્રપ્રેમને વશ થઈ ૨૦૦૧માં તેમણે પણ સપત્ની અહીં અમેરીકાની ભૂમિ પર સ્થાળાંતર કર્યું. ૨૦૦૫ અને ૨૦૦૬ દરમ્યાન બે પૌત્રો(અરમાન અને રોનીત)ના દાદા બની જીવનના અંતિમ વર્ષો પરિવાર સાથે ખુબ પ્રેમ અને શાંતિથી ગુજાર્યા.

૧૯૯૭માં અમારી પુત્રી એકતા સાથે એમના પુત્ર જયદીપના વિવાહ થતાં તેઓ અમારા વેવાઈ થયા પરંતુ તેઓ હમેંશની જેમ મને નાનીબેન જ ગણતા. પુત્રવધુને પુત્રી સમાન જ નહી પણ એથી ય વિશેષ પ્રેમથી સાચવી છે. ઉંમરને ધ્યાનમાં લઈએ તો દાદાનો સ્નેહ એમણે મારી પુત્રી અને એના પરિવારને આપ્યો છે. બંને પૌત્રો અરમાન અને રોનીતની શાળાએ દર વર્ષે ગ્રાન્ડ પેરેન્ટસ ઈવનીંગ કાર્યક્રમમાં અચૂક હાજરી આપે. આ ક્રમ એમણે અંત સુધી જાળવી રાખેલ. એકતા-જયદીપના મિત્રો અને ભાઈ બહેનોને હૈયે પણ દાદાના સ્નેહના સંભારણા તેઓ મૂકતા ગયા છે ઊંચી આતિથ્ય ભાવના અને કુંટુંબભાવના એમણે જીવનના અંત સુધી જાળવી હતી.

સબ ભૂમિ ગોપાલકી માનીને અમેરીકા આવ્યા પછી અહીંની ભાષા, સંસ્કૃતિ અને અલગ જીવન શૈલીને એમણે પ્રેમથી અપનાવી હતી.  અભ્યાસકાળ દરમ્યાન એમની પાસે પાઠ્યપુસ્તકના પૈસાની તીવ્ર અછત એમણે અનુભવી હોવાથી જરૂરિયાતમંદને પુસ્તકોની મદદ આપવા તેઓ હમેંશા તત્પર રહેતા. અભણ અને તે સમયે ઘણી પછાત ગણાતી રબારી  જ્ઞાતિના અન્ય બાળકોને આગળ લાવવામાં મદદ કરવાના તેમના નિષ્ફળ પ્રયત્નોની વાત કરતી વખતે પરંપરા અને રૂઢીઓને જડતાથી વળગી રહેલા લોકો માટે એમને હૈયે રહેલી સહાનૂભૂતિ આપણને સ્પર્શ્યા વગર ન રહે.

જીવનના છેલ્લા તબક્કામાં  હાર્ટસર્જરી અને ડાયાલીસીસની ના પાડ્યા પછી પણ તેઓ ચાર-પાંચ વર્ષ શાંતિથી ને સ્વનિર્ભરતાથી જીવી ઉદાહરણરૂપ થઈ રહ્યા. અંતિમ દિવસો દરમ્યાન પુત્રને પાસે બેસાડીને કહે,’મારા અસ્થિ અહીં નજીકની નદીમાં જ પઘરાવજો, મૃત્યુ પછી આ રીતે મને તમારી નજીક જ રાખજો. હવે જ્યારે તેઓ નથી ત્યારે અમેરીકામાં ઉછરતા પૌત્રો માટે ગામની ભાગોળે આવેલી નદી દાદાનું સંભારણું બની રહી છે. અંધશ્રધ્ધા બિલકુલ નહી પણ શ્રદ્ધા પૂરેપૂરી ધરાવતા તેઓ અંધશ્રદ્ધાનો વિરોધ કદી કરતા નહી. કોઈ પણ વાતનો વિરોધ કરવો તે તેમના સ્વભાવમાં જ નહી.

રબારી જ્ઞાતિની શૈક્ષણિક પ્રગતિની શરૂઆતના ઈતિહાસમાં એમનું નામ પ્રથમ હરોળમાં અગ્રક્રમે અંકિત થવું જોઈએ એમ માનવાનું મુખ્ય કારણ એ કે તેઓએ મેરીટ સાથે સ્કોલરશીપ મેળવી નજીવા સાથ સહકાર થકી સ્વબળે જે શૈક્ષણિક સિદ્ધિ મેળવી તે અનન્ય હતી. આધ્યાત્મિક જ્ઞાન પણ એમણે પચાવ્યું હતું તેમ કહી શકાય એવું સુવાસિત એમનું જીવન હતું.

જીવનના અંતિમ દિવસે(૧૬ નવેમ્બર,૨૦૧૭) નબળા પડતા જતા શરીરયંત્રને દંતમંજન સહિતની સ્વચ્છતા સાથે જાતે તૈયાર કરી જાણે યમરાજાને આદેશ આપતા હોય કે મને હોસ્પીટલમાં મળજે, અહીં મારા ઘરે નહી. એ રીતે ઘરમાં પણ બધુ રાબેતામુજબ હોવાની પૃચ્છા કરી પુત્ર સાથે બેસી છેલ્લી ચા પીને નીકળ્યા. અને થોડા કલાકોમાં વિદાય લઈ લીધી.  શરીરની પીડાઓને એમણે અંત સુધી ગણકારી નહી. છેલ્લા શ્વાસે પણ મને ઘણું સારૂં છે એમ ડોક્ટરને કહી બીજી જ ક્ષણે પ્રાણપખેંરૂ ઊડી ગયું એ સમયે એમનું બ્લડપ્રેશરનું રીડીંગ નોર્મલ જોઈ ડોક્ટરે પણ આશ્ચર્ય અનુભવ્યું હતું. જેનું જીવન ધન્ય એનું મૃત્યુ પણ ધન્ય જ હોય. આવા આ દિવ્ય આત્માને કોટિ કોટિ વંદન.

Posted in પ્રસંગો, સ્વરચિત કૃતિઓ | 5 ટિપ્પણીઓ

ઈશ્વરે ગ્રાન્ડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સૅડોનામાં

God created the Grand Canyon, but he lives in Sedona’

(ઈશ્વરે ગ્રાન્ડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સૅડોનામાં)

રેડ ઈન્ડિયન લોકોની જીભે રમતું રમતું આ વાક્ય મારી જીભેચઢ્યુ ત્યારે સૅડોનાની મારી ત્રીજી યાત્રા હતી અને તે છેલ્લી ન હોય તેવી અભિલાષા સાથે તેનીગુણગાથાની ઝલક થોડા શબ્દોમાં……

પથ્થરમાંથી કંડારેલા ઈશ્વર કરતાં ઈશ્વરે કંડારેલા આ પથ્થરોના રણમાં કોલોરડો નદી વીરડી બનીને આ પ્રદેશને મંદિરથી અનેક ગણી વધારે પવિત્રતા સાથે સૌંદર્ય બક્ષી રહી છે. સાધુના વસ્ત્રો જેવા ભગવા રંગના સમાધિસ્થ રેતખડકો ચારે દિશામા તપસ્વીઓની માફક મૌનનીમુદ્રામાં દિવ્યતા પાથરતા જોવા મળે. તન-મનના રોગો આપોઆપ દૂર થાય તેવી શક્તિનાવમળો ઉત્પન્ન કરતી અહીંની એક ખીણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઈશ્વરની નજીક જવાનો હેતુ અહીં અનાયાસે સર થતો અનુભવાય છે આથી જ તેને ઈશ્વરનું રહેણાંક કહેવાયું હશે?

ગ્રાન્ડ કેન્યનની અપ્રતિમ સુંદરતા આકાશમાં ઉડતા પક્ષીની માફક જોવા માટે અમે આઅગાઉની ટ્રીપમાં નાનકડાં પ્રાયવેટ પ્લેનમાં ગાઈડ સાથે લીધેલી ત્યારે અંદર ઉકળતા લાવાસાથેના જ્વાળામુખી પર્વતોને પણ બહારથી તો અન્ય પર્વતોની માફક શાંત અને અડીખમ જનીહાળ્યા હતા. આ પહાડો કરતાં અનેકગણું સૌંદર્ય અહીંની ખીણોમાં પથરાયેલ છે. પંખીબનીને આકાશને બદલે પાતાળમાં ઉડીને માઈલો સુધી કંડારેલા પથ્થરોથી શોભતી ખીણોનીસફર કરતાં કરતાં વિશાળ સ્તંભો અને સ્તૂપો જેવા આકારો વચ્ચે પથ્થરો સાથે તાદાત્મય સાધીપથ્થરની મૂરત બની જઈએ એવી ઈચ્છા જાગે તેવી સુંદર સૃ્ષ્ટિ નજરે પડી.

અહીં સૅડોનાના પણ આવી ખીણો જોવા મળે છે પરંતુ અહીંની વિશેષતા છે અહીંના લાલપથ્થરોથી શોભતા અલગ અલગ આકારના પહાડો! આ પહાડોની ટોચોનું સૌંદર્ય તો વળી તેથીય અનેરૂં ! આથી જ સૅડોના ‘લાલ ખડકનો દેશ’ કહેવાય છે.

અમેરીકાના એરીઝોના રાજ્યમાં પથરાયેલ જગતની સાત કુદરતી અજાયબીઓમાંની એક એવીગ્રાન્ડ કેન્યનની ખીણોથી સૅડોના લગભગ ૧૦૮ માઈલ દૂર છે. આ સ્થળનું નામ સૅડોના એક સ્ત્રીના નામ પરથી પડ્યું છે જે ત્યાંના પ્રથમ પોસ્ટમાસ્તરની પત્ની હતી. એ સમયે એટલે કેલગભગ ૧૯૦૨ની આસપાસના સમયમાં મુ્સાફરોની મહેમાનગતી માટે તે પ્રખ્યાત હતી. તે સમયે અહીં ફક્ત ૫૫ લોકો રહેતા હતા.

હાલ ૨૦૧૭માં લગભગ ૧૦,૦૦૦ જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાંથી ૧૩૦૦૦ વર્ષો અગાઉના માનવ અસ્તિત્વના અવશેષો મળ્યા હોવાનું બહાર આવ્યું છે. કેવું હશે એ સમયનુંજીવન તેની આપણે ફક્ત કલ્પના જ કરવાની રહી!

સૌ પ્રથમવાર અમે સૅડોના ગયા ત્યારે મિત્ર નીલમ દોશી અને તેના પતિ હરીશભાઈ દોશીઅમારી સાથે હતા. અહીંનું સૌંદર્ય જોવું અને તેમને બતાવવું એવો અમારો હેતુ હતો પણ એમની પાસે સમય ઓછો હતો અને નીલમને કોલોરાડો નદીનો ધસમસતો પ્રવાહ જોવો હતો છતાં એક આખો દિવસ અમે સૅડોના માટે ફાળવ્યો તે તેણે સ્વીકાર્યું. મને હતું કે ત્યાં જઈ ટૂરીસ્ટ સેન્ટરમાંથી માર્ગદર્શન લઈ ક્યાં ક્યાં પોઈન્ટ પર જવું તે નક્કી કરીશું.

સેન્ટર ખૂલવાનો સમય સવારના ૯ વાગ્યાનો હતો અને અમે કલાક વહેલાં પહોંચ્યા હતાં આથી સમય બગડશે માનીને હું પળભર નિરાશ થઈ પરંતુ કારના પાર્કિગલોટના મેદાનની આસપાસજગ્યા એટલી વિશાળ, સુંદર અને રણયામણી હતી કે’ જ્યાં જ્યાં નજર મારી ઠરે, ત્યાં ત્યાંકુદરતી સ્મિત ખરે!’ વધુ સૌંદર્ય જોવાની આશ સાથે અમે ઓફિસ ખૂલી ત્યાં સુધી અહીંના કુદરતી સૌંદર્યનું પાન કરતાં કરતાં ખુશીથી ચોકમાં આંટા માર્યા એટલામાં કાર્યકર આવી, એના ગૂડમોર્નિગના જવાબમાં અમારાથી સ્વાભાવિક જ ઉદ્ગાર નીકળી ગયો કે આ જગ્યા ખૂબસુંદર છે. માર્ગદર્શન માટે કાર્યકરે નકશો આપી અમને એટલું જ કહ્યું કે અહીં તમે જ્યાં જશો ત્યાં સુંદરતા જ સુંદરતા છે. તમે કેટલું ચાલી શકો તેમ છો અને પહાડીઓ પર કેટલી ઊંચાઈ સુધી ચઢી શકો તેમ છો તે પ્રમાણે તમારી આ એક દિવસની ડે ટ્રીપનું પ્લાનીંગ કરી શકો. કોઈ ગાઈડ મળે કે કેમ? તે પૂછતા તેણે અમને ત્યાંના નાનકડાં એરપોર્ટ પર તપાસ કરવા કહ્યું અને એરપોર્ટનો માર્ગ બતાવ્યો. અમે સમય વેડફવા માંગતા નહોતાં તેથી ઉતાવળે એરપોર્ટ ગયા. સૌથી સુંદર ઝલક જોઈ શકાય તેવા બિંદુએ જવા માટે પૂછપૂરછ આદરી. કોઈ કાર્યકર તેનો સ્પષ્ટ આપી શકે તેમ ન હતો. અત્યંત સુંદર એવા અનેક બિંદુઓની સરખામણી કઈ રીતે થઈશકે? તેનું આશ્ચર્ય તેમના ચહેરા પર જોવા મળ્યું આથી અમે પ્લેન અને હેલીકોપ્ટરની રાઈડ વિષે માહિતી મેળવી બહાર નીકળતા જ સામે દેખાતી સુંદરતા નીહાળતા સમૂહ તરફ ચાલ્યા.

પહાડોની સુંદરતા તો દૂરથી ય દ્રષ્ટિગોચર થતી હતી પણ નજીક પહોંચીને કુદરતે કંડારેલી ખીણોની ટોચ પર ઉભા રહ્યા ત્યારે મનમાં એવો ઉમળકો ઉઠયો કે ખીણમાં ઉતરીને ખાડા-ટેકરાઓના જુદા જુદા આકારો અને આકૃતિઓ વચ્ચે ફરતા ફરતા એમાં ખોવાઈ જઈએ. કેટલાંક લોકોને થોડે સુધી ઉતરતા પણ જોયા. અમે ઉભા હતા તે ગોળાકાર મેદાન જેવી ટોચફરતે કંડારેલી ઉબડખાબડ કેડીઓ પણ જોવા મળી. મેદાનની બરાબર વચ્ચે આસન જેવોગોળ મથાળાવાળો એક મોટો પથ્થર જોવા મળ્યો જેના પર ચઢીને ઉભવાનું કે બેસવાનું આસાન હતું. તે પરથી દેખાતી સૃ્ષ્ટિની સુંદરતા અલૌકિક મહેસૂસ થતી હતી. અમે બધાએ વારાફરથી તે પર ચઢી અમારી જાતને ફોટામાં મઢી આ સુંદર ક્ષણને અમર બનાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. થોડીવારમાં કૂદાકૂદ થતું મન દોડ્યું ઢાળ તરફ! અન્ય યાત્રીઓની પાછળ જવાનો મોહ જાગ્યો પણ નજીક જતાં હિંમત ઓસરી ગઈ. એટલા બધા ખાડા-ટેકરા વાળી કેડી હતી કેલપસીને પડ્યા તો સીધા ખીણમાં જ ! જો કે જે લોકોને પોતાના સંતુલન પર ભરોસો હતો તેઓ આ સાહસનો આનંદ માણતા હતા. કેટલાંક લોકો દૂરબીનથી દૂરના પર્વતોની ટોચો પર નજર ફેરવતા હતા અને ક્ષણિક નજીક હોવાનો સંતોષ લઈ દૂરબીનની સાથે જ એ ભ્રમને એકબાજુમૂકી વિશાળ આકાશ સાથે એકરૂપ થતા પર્વતો અને ખીણોને મંત્રમુગ્ધ થઈ નિહાળતા હતા. પ્રવાસીઓ ઘણા હતા પણ સૌ શાંત ચિત્તે કુદરત સાથે તાદાત્મય સાધવાના પ્રયત્નમાં હતાં.વાતચિત્તનો ગણગણાટ કે ટોળાંનો કોલાહલ ક્યાંય ન જણાયો.

બીજા મુલાકાતીઓ પાસેથી જાણ્યા મળ્યું કે હજુ બીજી કેટલીક જગ્યાઓ પણ અતિસુંદર છે.સરખામણીનો ખ્યાલ મારા મનમાંથી નીકળી ચૂક્યો હતો. દરેક સ્થળને તેની આગવી સુંદરતાહોય છે કુદરતના આ વિવિધ રૂપો અહીં માનવ સર્જિત ગંદકીથી દૂષિત ન થયા હોવાથી ખૂબપવિત્ર જણાય છે. સ્વચ્છતા માટેના ઊંચા ધોરણોએ અહીં અમેરીકાના પર્યટન સ્થળોને ખુબતાજગી બક્ષી છે.
ખીણો અને પર્વતો વચ્ચે ભમવા માટે ચઢવા-ઉતરવાની અમારી અક્ષમતાએ અમને હેલીકોપ્ટરરાઈડ લેવા પ્રેર્યા. ટિકિટ લેવા ગયા ત્યારે જણાયુ કે અમારા સમયના મેળમાં પ્લેનની રાઈડ જ શક્ય હતી. ફક્ત છ સીટના આ પ્લેનમાં અમે ચાર જણા દોઢ કલાકની રાઈડ લેવા તયાર થયા.આ સમય દરમ્યાન અમે ગ્રાન્ડ કેન્યનની દક્ષિણ હારમાળા પર ઉડવાના હતા. ૧૫૦૦ થી૩૦૦૦ ફૂટની શક્ય તેટલી નીચી ઊંચાઈએથી પ્લેનની કાચની બારીઓમાંથી અમારે સૌંદર્યનેમન ભરીને પીવાનું હતું. કુદરતની એક જગમશહૂર અજાયબી જોવા જવાનો અમારો ઉત્સાહ અનેરો હતો.

ધરતીના જે પટ પરથી અમે આ એરીયલ ટૂરમાં ઉડતા હતા તેના પાઈલોટની માહિતી સૂચક વાતોથી અમે એક પ્રકારનો ગૌરવપ્રદ આનંદ અનુભવતા હતા પરંતુ એથી ય વધુ આનંદ તો પર્વતો અને ખીણો પર પંખી માફક ઉડવાનો હતો. પાઈલોટે જ્યારે પ્લેનને ખીણોની ખુબનજીક લઈ ત્રાંસુ કર્યું ત્યારે તો રોમાંચની એક લહર કરંટ આપીને શરીરમાંથી પસાર થઈ ગઈ.સાંજ પડ્યે અમે પાછા ફર્યા ત્યારે હજુ અંધારૂ થવાને વાર હતી અમે ઉતર્યા હતા તે મોટેલ કે જે નજીકના વિલિયમ્સ નામના ગામમાં હતી એ દિશા તરફ ડ્રાઈવ શરૂ કર્યું. રસ્તામાં જોવાલાયક કંઈક હશે તો રોકાઈશું નહીતર આ સુંદર પહાડીઓ વચ્ચેની તાજી હવામાં ઝૂમતા, ગાતા,હસતા-હસાવતા સાથીઓ સાથેની સફરનો આનંદ તો હતો જ !

‘ઓક ક્રીક કેન્યન’ની સુંદરતા જોવાનું સદ્ભાગ્ય હશે તે અમે સાઈન-બોર્ડ વાંચીને અમારી કાર પાર્ક કરી. ઊતરીને જોયું તો કેટલીક રેંકડીઓમાં અહીંની કલા અને આભૂષણો વેચવાની બજારજેવું જણાયું. ફકત આંટો મારવા ખાતર આગળ ગયા તો પાછળના ભાગમાં રેલિંગ પકડી ઝૂકતા માણસો દેખાયા. થયુ કે કંઈક જોવા જેવું છે ખરૂં! અમે પણ રેલીંગ પકડી જરા ઝૂક્યા તોઅધધધ આશ્ચર્ય વચ્ચે પથ્થરના શીલ્પોની એક આખી નગરી જાણે ! અને એ ય ડુંગર કેરીખીણમાં ! મારી અંદરનું આતમ પંખી જાણે પાંખ ફફડાવીને એમાં ચકરાવો લેવાની ઈચ્છાજગાડવા તત્પર થઈ ઊઠયું અનેચંચળ મન ભયગ્રસ્ત શાંતી સાથે મુગ્ધ બની આ સૌંદર્યનું પાનકરવા લાગ્યું.


લગભગ દોઢ કલાક સુધી જુદા જુદા એંગલથી આ સૌંદર્યનું પાન કરીને સમયની પાંખો પરસવાર થઈ અમે વિલિયમ્સ પહોંચી રાત્રીવિહારે નીકળ્યા. ભોજન માટેની અનેકાનેકહોટલોમાંથી અમને માફક એવું સાદું ભોજન પતાવી અનેક હોટલો અને મોટેલોના નિયોન સાઈન બોર્ડ્સથી ઝળહળતા અમેરીકાના આ નાના ટૂરીસ્ટ ગામની રોશની નિહાળ્યા બાદસવારે વહેલા ઊઠવાના નિર્ણય સાથે ઘસઘસાટ ઊંઘ ખેંચી. ઉઠયા ત્યારે અહીંથી ગ્રાન્ડ કેન્યન સુધી પહાડીઓ વચ્ચેથી ટ્રેનની બે કલાકની રોમાંચક મુસાફરી વિષે જાણ થતા મન લલચાયું. પહાડોના શિખરોને ગઈકાલે પ્લેનમાંથી ખુબ નજીકથી જોયેલા પણ ટ્રેનનો સાઈડ એંગલજુદું જ સૌંદર્ય પ્રગટાવશે તે ખબર હોવા છતાં સમયના પાશથી બંધાયેલા અમે એ આનંદ જતો કરી કોલોરાડો રીવર ભણી કારને હંકારી.

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકાના ૩૫ લાખ માઈલમાં ફેલાયેલી અઢી લાખ નાની મોટીનદીઓમાં લંબાઈની દ્રષ્ટીએ કોલોરાડો છઠ્ઠા નંબરે ગણાય છે. ૧૪૫૦ માઈલ લાંબી આ નદી અમેરીકાના સાત રાજ્યો અને મેકસીકોના બે રાજ્યોમાંથી પસાર થાય છે. અમે ગ્રાન્ડ કેન્યનનીનજીકના પેજ (Page) ગામની ભાગોળેથી ઊછળતી અને આનંદની છોળો પસારતી આ નદીના અનન્ય રૂપનું દર્શન કરવાની ઉમેદ રાખી હતી. પરંતુ મારૂં અને નીલમનું મન અલગ અલગ દિશામાં સૌંદર્યની શોધમાં હતું. મારૂં ચિત્ત ગ્રાન્ડ કેન્યન અને નીલમનું કોલોરાડો રીવરમાં ઝબોળાલેતું હતું અને અમે બંને એકબીજાની ખુશીમાં અમારી ખુશીઓને દ્વીગુણીત કરતા હતાં એટલેઅમારા વિચારોની દિશા ઘડી આમ અને ઘડી તેમ ઝપાટાબંધ થતી હતી. ગમે તે બાજુ જઈએપૃથ્વીના સૌંદર્યનો એ હિસ્સો અમારા માટે નવો જ હતો અને કદાચ ફરી તક મળે ત્યારે ધરતીનાકોઈ બીજા પટ પર વિહરતા હોઈએ એ વિચારે અમે પ્રથમ તો વિશ્વના કુદરતી સાતઆશ્ચર્યમાંના એક એવા ગ્રાન્ડ કેન્યનની ધરતી પર લટાર મારવાનું નક્કી કર્યું.

શ્વાસ થંભી જાય તેવી ૨૭૭ માઈલ લાંબી અને ૧૮ માઈલ સુધીની પહોળાઈ ધરાવતી આખીણો વધુમાં વધુ એક માઈલ સુધી ઊંડી છે. પહાડીની ધારે ધારે અનેક જગ્યાએ ખીણમાંઝાંકીને આંખના દરેક ખૂણે તેના સૌંદર્યને ઠાંસીને ભરીએ તો ય છલકાતું જ રહે. દરેક સ્થળેઆકૃતિઓ કેલીડોસ્કોપની માફક બદલાઈને અલગ અલગ સૌંદયની ઝાંખી કરાવે પણ મનધરાય નહી. કુદરતે ઢોળેલો સૌંદયનો આ અમીરસ પીવા આંખો બાવરી બનીને નૃત્ય કરે અનેપગ થંભી જાય. જ્યાં પગ ચાલવા લાગે ત્યાં આંખો એકીટસે જોયા કરે. અંતે પગ વહેલા થાક્યા.પીમા, પોવેલ, મોહેવ, મેરીકોપા વિગેરે જુદા જુદા નામ ધરાવતા પોઈન્ટ ઉપરથી નીચે નજરકરતાં મસ્તક તો ઝૂકી જ ગયુ હોય પણ હ્રદય પણ ઝૂકી જાય થાય કે આવી સુંદર જગ્યામૂકીને મનુષ્યે બનાવેલી મંદિરની પાષાણ પ્રતિમામાં પૂરાઈ રહેવા ઈશ્વર શા માટે જાય? નિરાશાથી ઘેરાયેલા લોકોને મુક્તિના અહેસાસના થોડા શ્વાસ સાથે સાચી આશા બંધાય એવી જગ્યા તો અહીં કુદરતને ખોળે ખૂલ્લી પડી છે તેને મૂકીને નૈવેદ માંગતા બંધ બારણાના મનુષ્યરચિત ભગવાનને ભજવાથી જુઠી આશા જ બંધાય એટલું જેને ન સમજાય તે સમાજ મંદિરનાઓટલે બેસી દુઃખી જ રહેવાનો. એ ઓટલો છોડવાથી દુઃખ વધશે એમ ઠસાવનાર પૂજારીઓનું દુઃખ આવા ધર્માંધ લોકો ત્યાંથી ખસે તો જરૂર વધે!

હવાની લહેરખીઓ જેવા આવા કેટલાંય વિચારોને ખંખેરી કુદરતના સાનિધ્યનો આવો અમૂલ્યઅવસર આનંદથી રોમાંચિત કરી દરેક યાત્રીને તરબતર કરી દેતો હશે નહિતર દર વર્ષે વિશ્વભરમાંથી પચાસ લાખ લોકો આ ભૂમિના દર્શને શા માટે આવે ? અને તે ય ફક્ત ખૂલ્લાઆકાશ અને કોતરાયેલી ધરતીના રૂપને જ નિહાળવા?

બહુ પ્રખ્યાત એવા મેધર પોઈન્ટ અને ડેઝર્ટ વ્યુ પોઈન્ટ પરથી સૂર્યાસ્ત નિહાળવા લોકોને બસટૂર માટેની લાઈનમાં ઉભેલા જોયા એટલે અમારૂં મન પણ લોભાયું. તપાસ કરતા ખબર પડી કે ત્યાં ઉપર સુધી જવા માટે ઘણું ચાલવું પડે તેમ છે અને અમે થાક્યા હતા આથી પેજ ગામ પ્રતિ કારને હંકારી મૂકી.

ત્રણ કલાકે ત્યાં પહોંચ્યા ત્યારે પગને પૂરતો આરામ મળી ચૂક્યો હતો પણ સાંજ ઢળી ચૂકી હોવાથી છેલ્લી ફેરી પણ નીકળી ચૂકી હતી આથી ધસમસતો પ્રવાહ જોવાનું શક્ય ન બન્યું પરંતુ નદીનો શાંત અને ખૂલ્લો પટ અમારા જેવા રડ્યાખડ્યા મુસાફરોને આવકારતો બંને બાજુ વિશાળજળરાશિ ફેલાવીને ઉન્ન્ત મસ્તકે અડીખમ ઉભેલી પહાડીઓની ઓથે ઓથે વહેતો હતો. પગબોળીને આ જળરાશિના ચરણસ્પર્શ તો લ્હાવો લઈ અમે ત્યાંના કેટલાંક લોકો પાસેથી એક પુલવિષે જાણ્યું. પુલ તો ઘણો નાનો હતો પણ ચાલવા માટે ઘણો મોટો જણાયો. વાહનોની અવરજવર જરા પણ ન હતી. સાંજ ઢળી ગઈ હોવાથી બહુ ઓછા યાત્રિકો જોવા મળ્યા.

ખળખળ વહેતી સરીતાના પુલ પર શાંત કુદરતને ખોળે સંધ્યાનો ગુલાબી રંગ જોઈ અમે ચારેય એટલા ઉત્સાહમાં આવી ગયા હતા કે અમે રાસ રમવા લાગ્યા. આનંદનો આવિષ્કાર અમને નૃત્ય-ગાન તરફ લઈ ગયો. તાલ-સૂર વગરના ગરબા-ગાન સંગે કુદરતના મેઘધનુ્ષી રંગોએઆકાશમાં દેખા દઈ અમને વધુ આનંદમાં ઝબોળ્યા. અંધારાના ઓળા ઉતર્યા ત્યાં સુધી પર્વતના ખોળે રમતા કોલોરાડો નદીના આ ઝરણને શરણ અમે રહ્યા પછી કારને ઘર તરફ હંકારી.અડધી રાતલડીએ ઘરે પહોંચ્યા પછી પણ મન તો હજુ ગ્રાન્ડ કેન્યન અને કોલોરાડો રીવરવચ્ચે હિલોળા લેતુ હતું.

અમૃતના ઓડકાર ન હોય પણ આ તો ફક્ત આચમની હતી. ઘૂંટ પીવા ફરી ત્યાં જવું જ રહ્યું.એક અઠવાડિયું પણ ઓછુ પડે તે સ્થળેથી સમયની પાબંદીને કારણે અમે બે દિવસમાં જ દોડી આવ્યા હતાં. સૅડોનાના લાલ રંગના રેતના પથ્થરોને ફરી મળવાના વાયદા સાથે હુંસ્વપ્નોની દુનિયામાં સરી પડી.

એકાદ વર્ષ પછી માર્ચ ૨૦૧૭માં ફરી તક મળી ત્યારે ગાઈડ સાથેની જીપ ટૂરમાં સીટ બુક કરી.છ સીટની જીપમાં પાંચ સહેલીઓના એક ગ્રુપ સાથે મને એક સીટ આપવામાં આવી. મારા અન્ય કુંટુંબીજનો આ સાહસમાં ન જોડાયા કારણ કે સાથે દોઢ વર્ષનો મારો પૌત્ર હતો અને સતત આવતા ચઢાવ-ઉતરાવ દરમ્યાન જીપ ઉછળ્યા કરે તેની તૈયારી રાખવી પડે. બહુ નાનાબાળકો કે બહુ મોટા વૃદ્ધોની તબિયત પર અસર થાય તે જોખમ આ રણપ્રદેશની ગરમ હવાનેકારણે ખુલ્લી જીપમાં વધી જાય તેમ હતું. આ થ્રીલીંગ અનુભવ માટે મારે પણ નાજુક તબિયતને કારણે થોડો વિચાર કરવો પડ્યો પણ છેવટે યાહોમ કરીને પાણીની બોટલ ભૂલ્યા વગરઆગળી હરોળમાં ફ્રન્ટ વ્યુનો ખાસ લાભ લેવા બેસી ગઈ. કોતરો વચ્ચે દોઢ કલાકની આ આલ્હાદ્ક ટ્રીપ ડ્રાઈવરને કારણે વધુ માહિતીપ્રદ અને આનંદદાયક બની રહી.

ડ્રાઈવર એક કોલેજ સ્ટુડન્ટ હતો અને જીપ તદ્દન નવી હોવાથી કુશળ ડ્રાઈવર તરીકે તેને સોંપવામાં આવી હતી. બીજા સાથીઓમાં જે પાંચ યુવાન સ્ત્રીઓ હતી તે ઘણી મળતાવડી હતી.આમે ય અમેરીકન લોકો આપણી ભારતીય પ્રજાની સરખામણીએ મળતાવડા જણાય. શરૂઆતમાં જ તેમણે મને મારૂં નામ પૂછયુ અને તેમના જણાવ્યા જે ડેનીસ,પેગી, જેનીસ, સારાહ અને કૉની હતા! તેઓએ મને ફક્ત ગ્રુપ ફોટામાં જ નહી પણ વાતોમાં પણ સામેલ કરી.અજાણ્યાનો કે પરદેશીઓનો સ્વીકાર આપણા સમાજમાં આટલો જલ્દી થતો મને જોવા મળ્યો નથી. પરદેશીઓનો વધારે પડતો ભરોસો કરવાથી જ ટેરેરીસ્ટ લોકોને મોકળું મેદાન મળી રહે છે તેવી કેટલાંક લોકોની માન્યતા અને તે કારણે તોછડા વર્તનના અનુભવોના પ્રમાણમાં સ્વીકારની માત્રા મને ઘણી વધારે જોવા મળી છે. જો કે સામે આપણા હ્રદયમાં પણ આ દેશના લોકો અને સંસ્કૃતિના સ્વીકારની ભાવના હોવી ઘટે તો જ એમના ગુણો તમે જોઈ શકો. અહીંની પ્રજાને ‘ધોળીયા’ અને ‘કાળીયા’ કહી પીઠ પાછળના તુચ્છકારથી જોનારા આપણા ગુજરાતી સમાજમાં પણ ઘણા જોવા મળે.

દૂર દૂર દેખાતી ૨૦૦ માઈલ લાંબી મોગોલોન સીમારેખા લાલ રેતીના ખડકોને કારણે સ્પષ્ટ ચિત્રખડું કરતી હતી. વચ્ચેની અનેકાનેક ખીણો કોકોનીનો નામના જંગલમાં જ્યાં અમારી જીપ ફરતીહતી ત્યાંથી જે દ્રષ્ય સર્જતી હતી તેને શબ્દોમાં મૂકવું અઘરૂં છે કેમેરામાં તેને મઢવા માટે એકજગ્યાએ ડ્રાઈવરે જીપ ઊભી રાખી. અહીં ખાસ લગ્નનો ઉત્સવ ઉજવવા પણ લોકો આવે છેતે જાણીને આશ્ચર્ય થયું પણ તે માટેની ખાસ વ્યવસ્થા જાણ્યા પછી થયું કે ઈશ્વરીય તત્વનીહાજરી અને લગ્ન માટેના પવિત્ર ભાવ થકી આ સ્થળને પસંદ કરનારને કદાચ લગ્ન કરાવવામાટે પાદરીની જરૂર પણ નહી પડતી હોય. એવા લગ્નોસ્તવની અહીં નવાઈ નથી જ્યાંની લગ્નના મંડપ નીચે કુદરતી સૌંદર્યનો ધૂમટો તાણી ઉભેલી ધરતીના પાશમાં માનવસમૂહથી દૂર બે હૈયા પ્રેમ અને વિશ્વાસની દોરીથી બંધાય છે. કાનૂની કાર્યવાહીની તેમને બાળકોના જન્મ પછીય જરૂર જણાતી નથી. મેડિકલ લેબમાં મારી સાથે પૂર્વે કામ કરતી આવી એક સ્ત્રી સાથે વાત કરતા મને જાણવા મળ્યુ હતું કે કાયદામાં ભરણપોષણ અને પૈસાની વાત મુખ્ય થઈ જાય અને તેથી સ્વૈચ્છીક સંબંધ વણસી જઈ ફરજના ભારથી લાગણીઓને કચડે નહી તે માટે અમને કાયદાથી મુકત રહી પ્રેમને પોષવામાં વધારે સલામતિ જણાય છે.

પ્રેમ અને મુક્તિને આધ્યાત્મિકતા સાથે સીધો સંબંધ છે. અહીંની બીજી એક જગ્યાએ આવી અનુભૂતિની ઝલક અને ખાસ તન-મનની તંદુરસ્તી માટે કુદરતી શક્તિના વમળો વચ્ચે લઈજતી વોર્ટેક્ષ ટૂર માટે તળેટી સુધીની જીપયાત્રા પણ ઉપલબ્ધ હતી પણ સાંજ ઢળી ગઈ હતી આથી ફરી આવવાના વિચાર સાથે ‘Touch the earth vortex tour’ વિષે માહિતી મેળવી અમે ઘર તરફ પાછા ફર્યાં.

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

એક પત્ર

પ્રિય આત્મન,

આત્મા અને મનને જોડતી તારી સાથેની વર્ષોની મૈત્રીમાં વચ્ચે વચ્ચે આવતા વિયોગનો સમય આ વખતે લંબાયો છે તેથી પત્ર લખું છું આશા છે કે તું કુશળ એટલે કે જાગૃત હોઈશ.

તને મળીને થતી અવર્ણનીય પ્રસન્નતા કેટલાય સમય સુધી છલકાતી રહે છે એની છાલકથી મારી આસપાસ પણ પ્રસન્નતાનું એક વર્તૂળ રચાય છે અને તેથી એ અનેકગણી નિખરે છે. તારૂં એ તેજ મારી આંખમાં અંજાઈને અનેકમાં પ્રતિબિંબિત થાય છે.

પણ મિત્ર, જેમ ‘દિવસ પછી રાત અને પ્રકાશ પછી અંધકાર’ તેમ ‘સુખ પછી દુઃખ’  નું ચક્ર ચાલ્યા જ કરે છે. તારો વિયોગ એ દુઃખનું કારણ છે કે દુઃખ એ તારા વિયોગનું કારણ છે તે હું સમજી શકવા અસમર્થ છું. લોક કહે છે કે અહંકારને કારણે તારો વિયોગ અને દુઃખ જન્મે છે. પણ આ અહંકાર અદ્રશ્ય રહેતો હોઈ તેનું નિવારણ કેમ કરવું તે સમસ્યા ઘણી મોટી છે. તારા સાથ વગર આત્મન, હું આ અહંકારની સમસ્યાનું નિવારણ કરવા અસમર્થ છું અને હે આત્મ, આ મન ઘડી તારી અને ઘડી મારી સંગાથે રહેતું હોઈને ઘણીવાર તારી સાથેના મિલન આડે આવે છે. તારી હાકલ મને સંભળાય ત્યાં સુધીમાં તો સમયની આ નદી વહેતી વહેતી આવીને ચરણ પખાળી ડૂ્બવાની તૈયારી માટે સાબદા કરે છે. અગાઉ કેટલાંય લોકોને એમાં નામ અને દામ સાથે ડૂબતા જોયા છે છતાં આશા છે કે તારે સહારે હું તરી જઈશ.

તું શું કહે છે મિત્ર? તારા સાથેની ગોષ્ઠી માટે હું અતિ આતુર છું. આમ જુવો તો મિત્રો ઘણા છે પણ તારી સાથેની મારી વાત કોઈ સમજતું નથી. આપણા સંગાથી એવા ‘મન’ની વાતમાં જ સૌ ગુંચવાયા છે. આ મન ઘણીવાર તારો સ્વાંગ રચી સૌને  છેતરવાની સફળ કોશિષ કરે છે અને તારા સુધી પહોંચવામાં વિઘ્નો ઉભા કરે છે.

તારો કાયમનો સંગાથ મારે જોઈએ છે આત્મન, આ બહુરૂપી મનને તું સંભાળી શક્તો હોય તો મને કેમ નહી? તારી પાસે તો આખુ ય આકાશ છે. મને તો તારી અમીનજર જ પૂરતી છે. તારી અમીરાતમાં હું કોઈ ખલેલ કરવાનો ગુનો કરૂં તો તારા વિયોગની આકરી સજા જરૂર કરજે પણ એકવાર, ફક્ત એકવાર મને ફરી તારા સંગાથની તક જોઈએ છે.

તારા મુકત વિહારને કારણે તારૂં સરનામું મેળવવું મુશ્કેલ છે. કોઈ ભકતને ત્યાં તારા મુકામના સમાચાર સાંભળી મોકલેલ સંદેશો તને પહોંચે તે પહેલાં તો તું ત્યાંથી વિદાય થઈ ગયો હોવાની નવાઈ નથી અને તારૂં કોઈ કાયમી સરનામું તો છે નહી તો તને સંદેશો ક્યાં મોકલવો? તે પ્રશ્ન છે. તને શોધવા નીકળી પડવાનો વિચાર પણ એકવાર કરી જોયો પરંતુ કુંટુંબીજનોની લાગણી અને ફરજ મને આજીવન કેદ કરવામાં સફળ થયા. જીવન અને મૃત્યુની અજ્ઞાનતા વચ્ચે તારા પ્રત્યેની ફરજ તો સાવ જ વિસરી જવાય છે. તારું જ્ઞાન કે જેને આત્મજ્ઞાન પણ કહે છે તે જો મળે તો તારી ખરી કૃપા મિત્ર ! તારામાં લીન બની હું મારાપણાને વીસરવા માંગુ છું અને એમાં મને તારી સહાય જોઈએ છે.

હે મિત્ર આત્મન, તારા મધુર લયમાં લીન થવાની કલ્પના માત્રથી હું રોમાંચિત થઈ ઊઠું છુ પણ એ પળ કેટલી દૂર છે તે ખબર ન હોવાથી વળી ઉદાસ થઈ જાઉં છું. ક્યારેક વળી કોઈ એકાગ્ર પળમાં લાગે છે કે હું તારી ખૂબ નજીક છું તારૂં મિલન હવે દૂર નથી અને મારો હર્ષોલ્લાસ વધી જાય છે. પાંદડાઓના ફરફરાટમાં મને તારા આગમનની એંધાણી મળે છે. પક્ષીઓના કલરવમાં તારો પગરવ સંભળાય છે. વાયુની લહરીઓ પર સવાર થઈ હવે તો તું આવ્યો જ એવા વિશ્વાસે હ્રદયદ્વાર ખોલતાં જ અંદરથી બહાર તરફ ધસતાં કેટલાંય રથો પૂરપાટ દોડવા લાગે છે અને એવો વંટોળ ઊઠે છે કે મારૂં અસ્તીત્વ જ હાલકડોલક થઈ જાય છે. તારામાં વિલીન થવાને બદલે આ વંટોળમાં હું ફેંકાઈને નષ્ટ થઈ જઈશ એ ભય મને ઘેરી વળે છે.

તારા પ્રેમની યાદથી મારી ડગમગતી આશા સ્થિર થાય છે કે તું મને આ વંટોળમાંથી જરૂર ઉગારી લઈશ. મારી દરેક તકલીફની જાણ અકળ રીતે તને થતી જ રહી છે તો આ મારા આ ભયથી પણ તું વાકેફ જ હોઈશ.

મૃત્યુના ભયમાંથી તેં જ મને મુક્તિ આપી છે પરંતુ આધિ અને વ્યાધિ જીવન સાથે જોડાઈને મૃત્યુ કરતાં ય વિકટ ક્ષણો ઉપસ્થિત કરે છે ત્યારે હે મિત્ર, તું ખૂબ જ યાદ આવે છે. તારી અને મારી વચ્ચે પહેરો ભરતું આ મન મને તારી નજીક જવામાં સહાય નથી આપતું ત્યારે નિરાશા ઘેરી વળે છે, બધું ઘુંઘળુ થઈ જાય છે.

તારી યાદથી ફરી આશા જાગે છે અને મન પણ પુલકિત થઈ મદદ કરવા તત્પર બને છે. તારા દર્શનની કલ્પનાથી રોમરોમ પુલકિત થઈ ઊઠે છે ચારે તરફ સુખનો સાગર લહેરાવા લાગે છે. ત્યાં અચાનક જ ધરતીકંપ જેવી કોઈ કુદરતી ઘટના ઘટે છે અને મનની હાલત ફરી અત્યંત દયાજનક થઈ જાય છે. હતાશા અને ચિંતા તેને ફરી ઘેરી વળે છે. એવે સમયે કોઈ આપ્તજનના હ્રદયમાં પેસીને તું અમારી સંભાળ લેવા આવી પહોંચે છે આથી જ તારા પ્રત્યેનો મારો વિશ્વાસ દ્રઢ થતો રહ્યો છે. પણ તું ફરી ક્યારે સુષુપ્તા અવસ્થામાં સરી પડે છે તેનો ખ્યાલ રહેતો નથી. જો કે તે દોષ મારો જ છે. મને માફ કરી મિત્ર તું ફરી એકવાર તારા નિજી વર્તૂળમાં પ્રવેશવા દે. તારા વિરાટ ખોળામાં બેસવાની લાયકાત મારે હજુ કેળવવાની છે તેની મને જાણ છે. તારી કૃપાના બળે સઘળી કસોટીઓમાંથી પાર ઉતરીને આપણા ઐક્યની ઝંખના સાથે હાથ જોડીને તારી સન્મુખ આવવાનો નિર્ધાર છે. હે આત્મન મને સ્વીકારીશ ને?

તારી પ્રેમવર્ષાની રાહમાં,

લિખિતંગ સદ્‍ભાવના

 

Posted in સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

માતૃ વિયોગ  

IMG_0741

બા સ્વપ્નમાં આવે છે એ ક્ષણે સ્વપ્ન સત્ય બનીને રડે છે.

બાના પ્રેમની કાંગરી ક્યારેક ખરતી તો બ્રહ્માંડ ધૃજી ઊઠતું

બાની રાજધાનીમાં રહેતાં સૌ એમ માનતા ને મનાવતા કે

બા એમની રાજધાનીમાં રહે છે અને પોતે  રાજા/રાણી છે

બા સ્મિત કરતી, જ્યારે તેની રસોઈના મીઠા ઓડકાર ખાઈ

બા કને મહેમાન વહુ-દીકરીના યશગાન ગાઈ ઉઠતા તૂર્ત

બાના આંસુ કદી ય ન ટપક્યા! રખે ને પીડા નડે અન્યને !

બા માંદી પડતી ત્યારે મૃત્યુનો સૂનકાર ઓઢીને સૂઈ રહેતી

બા લીલી વાડી મૂકી સૂનકાર સાથે લઈ હવે મૃત્યુ પામી છે

બાને ખબર નથી કે એનો સૂનકાર થોડો લઈ લીધો છે મેં

બાને ઝંખ્યા કરે છે હવે મારામાં ઉગ્યા કરતો એ સૂનકાર !

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિ | 4 ટિપ્પણીઓ

સૂના રે પડ્યા….

IMG_0678

[અમારા સ્વર્ગવાસી માતા (તા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૭) ની યાદમાં….]

સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા….
મા રે વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા…..

મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચે
ઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા….
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..

આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડે
પીળા રે પડ્યા તડકા પીળા રે પડ્યા…
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..

મમતાના બોલ મધૂરા કંઠે અટક્યા
ધીરા રે પડ્યા ટહૂકા ધીરા રે પડ્યા
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..

દિલનો દીવો મારો થરથરે પ્રેમ વાટે
ઊણા રે પડ્યા ઉજાસ ઊણા રે પડ્યા
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..

– રેખા સિંધલ

Posted in સ્વરચિત કૃતિઓ | 8 ટિપ્પણીઓ

ઉડતી નજરે…

બે ઘટનાઓ અને ભગવદ્‍ગીતામાં  મનોવિજ્ઞાન

ઘટના નંબર ૧

દોડની એક હરીફાઈમાં પ્રથમ અને બીજા નંબરે ઈનામ જીતેલા બે હરીફોના સમય વચ્ચે બહુ જ ઓછી ક્ષણોનો તફાવત હતો. મોટાભાગનું અંતર બેઉ હરીફોએ સરખી ઝડપે કાપ્યું હતું. છેલ્લી થોડી ક્ષણોમાં તીવ્ર રસાકસી દરમ્યાન બીજા નંબરે આવેલ હરીફ શા કારણે અંતિમ પળોમાં પાછળ રહી ગયો? અને પહેલા નંબર પાસેથી શી પ્રેરણા લેવી? તે પ્રશ્નોના જવાબમાં ગીતાની પંક્તિ  ‘કર્મણ્યેવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન’  મનોવૈજ્ઞાનિક રીતે બહુ સ્પષ્ટ સમજી શકાય તેમ છે.

દ્વિતિય વિજેતાનું ધ્યાન દોડને બદલે મેડલ પર વધારે હોવાથી છેલ્લી પળોમાં પરિણામની ચિંતાએ તેની થોડી શક્તિ એમાં ખર્ચાઈ ગઈ, અને એને લીધે એની દોડવાની ઝડપ ઘટી ગઈ. જ્યારે પ્રથમ વિજેતાનું સમગ્ર ધ્યાન દોડવામાં હતું, મેડલ મળે કે ન મળે, દોડના આનંદની સરખામણીએ પરિણામનો વિચાર તેને ક્ષુલ્લક લાગતો હતો.

અહીં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે કર્મમાં વધુ ધ્યાન પરોવવાથી પરિણામ વધુ સારૂ મેળવી શકાય છે, અને પરિણામ પર વધુ લક્ષ રાખવાથી, ધાર્યુ પરિણામ ન મળવાનો ડર મનમાં ચિંતા જન્માવી નિષ્ફળતાનું કારણ બની રહેવાની શક્યતા વધારે છે. ખુબ તૈયારી છતાં પરિક્ષા ટાઈમે કેટલાંય વિદ્યાર્થીઓ આ કારણે જ ભૂલી જતા હોય છે.

ઘટના નંબર ૨

એક પહાડી વિસ્તારમાં સૈનિકોને બે ટુકડીઓ સામસામે લડતી હતી.  કારતૂસોના ભડાકા ધ્રુજાવી દે તેવા હતાં. જ્યાં આડશ મળે ત્યાં સંતાઈને, મરવાની કે મારવાની તૈયારી દરેકે રાખવાની હતી. એક ટુકડીના લીડરના મનમાં દેશ પ્રત્યેની ફરજ સિવાય અન્ય કોઈ ભાવ ન હતો જ્યારે બીજી ટુકડીના લીડરના મનમાં રોષ અને ઝનૂનનું પ્રાધાન્ય હતું. બંને લીડરના આ ભાવની અસર આખી ટુકડી પર ફેલાયેલી હતી. પરિણામ એ આવ્યુ કે ફક્ત ફરજ ખાતર લડતા સૈનિકોની ટુક્ડીએ વધુ સ્વસ્થતા, વધુ કુનેહ, અને વધુ શાંતિ જાળવી જીત મેળવી. જ્યારે બીજી ટુકડી ઝનૂનથી અંધ બની આડેધડ ગોળીબાર કરી, ખતમ કરી નાખવાના આવેશથી લડતાં લડતાં ખતમ થઈ ગઈ.

મહાભારતમાં યુધ્ધ શરૂ થવાની પળે અર્જૂનની લાગણીઓ રાગથી પ્રેરીત હતી, તો અહીં આ કિસ્સામાં સૈનિકોની લાગણીઓ દ્વેષ પ્રેરીત હતી. આ ફર્ક ઘણો મોટો હોવા છતાં રાગ, પલાયનવાદ અને દ્વેષ, ત્રાસવાદ તરફ દોરી શકે. આ રીતે બેઉ પ્રકારની લાગણીઓ ફરજથી ચ્યૂત કરી, મુંઝવણના માર્ગે દોરી જાતને ગુંગળાવી દે તેવી એકસરખી શક્યતાને નકારી શકાય નહી.

ગીતા અને મનોવિજ્ઞાનઃ

ફરજ આડે આવતી લાગણીઓ અર્જૂનની માફક પરિવાર પ્રત્યેના પ્રેમથી પ્રેરીત હોય તો પણ સામુહિક હિતને અવરોધી રક્ષક ને બદલે ભક્ષકને મોક્ળું મેદાન આપે છે. એટલે જ તો લડાઈના મેદાનમાં અણીને સમયે ગીતાના ઉપદેશમાં લાગણીઓને બાજુ પર મૂકી ફરજ ખાતર યુધ્ધ કરવા કૃષ્ણ અર્જૂનને સમજાવે છે. યુધ્ધની શરૂઆતમાં કૃષ્ણે આપેલ આ ઉપદેશ પાંડવોની જીત પાછળનું એક મુખ્ય કારણ છે.  મનની શક્તિ પાસે શસ્ત્રોના ભંડાર ઓછા પડે, તે જેની સાથે (જેના હ્રદયમાં) ભગવાન હોય તેને સમજાવવાની જરૂર નથી પડતી.  મારે મન ‘ભગવાન’ એટલે ‘શુધ્ધ પ્રેમમય આત્મભાવ’ ગીતામાં જ્યાં જ્યાં કૃષ્ણ ભગવાને  ‘હું’ કહ્યુ છે ત્યાં આપણે ભગવાન તરીકે આ ભાવને લઈએ તો એમાંથી વધુ પ્રેરણા લઈ શકાય તેમ માનું છું. આપણી અંદરનો ઈશ્વરીય અંશ પણ આ ભાવ જ છે, પરંતુ તે સ્થિર નથી તેથી આપણે ભગવાનથી કે એમના જેવા થવાથી ઘણા દૂર છીએ. ભગવાન એ આત્મભાવ છે. કોઈ પ્રેમાળ વ્યક્તિમાં એ સ્થિત હોય તો એને ભગવાનનો અવતાર ગણીએ તેમાં ખોટું નથી, પણ આ ભાવ તે એક વ્યક્તિ પૂરતો સિમિત નથી હોતો કે યુગો સુધી ભગવાનને નામે એની વ્યક્તિપૂજા કર્યા કરીએ. એ ભાવને આપણા હ્રદયમાં સ્થાપીએ  ત્યારે સાચી પૂજા થઈ ગણાય !

ગીતા એક એવો ગ્રંથ છે કે દરેક વ્યક્તિ પોતાની સમજણ મુજબ અર્થ તારવી જીવનમાં ઉદ્‍ભવતા પ્રશ્નો ના ઉત્તર મેળવી શકે. આ સમજણ જેમ વિકસે તેમ તેનો સાર વધુને વધુ સ્પષ્ટ સમજાય. અલ્પવિકસિત સમજણ કે અણસમજુને પણ યોગ્ય માર્ગે દોરી શકે એવા સરળ શ્લોકો પાછળ રહેલાં ગુઢાર્થ જે સમજી શકે, તેને આત્મજ્ઞાન માટે બીજુ કંઈ વાંચવાની જરૂર રહેતી નથી. જેટલું જેનું ગજુ તેટલું તેને સમજાય, અને એટલું પણ આત્મવિકાસ માટે પર્યાપ્ત નહી તો ય ઉપયોગી તો નીવડે જ! કૂવામાંથી પાણી ઉલેચવા માટે જેમ એનું ઊંડાણ માપવાની જરૂર નથી, તેમ ગીતાના શ્લોકોના ઊંડા અર્થ સમજ્યા વગર પણ જીવનવ્યવહારમાં ઉપયોગી એવું જ્ઞાન એમાંથી મળવું સુલભ છે. આવો બીજો કોઈ મનોવૈજ્ઞાનિક ગ્રંથ ધર્મપુસ્તક તરીકે કોઈ પણ ધર્મમાં સ્થાન પામ્યો હોય એવું મારી જાણમાં નથી. મારી દ્રષ્ટિએ ખુબ ઉપયોગી છતાં આ ગ્રંથ જલ્દીથી રસ પડે તેવો નથી. એની ખ્યાતિનું કારણ એ છે કે સમય અને સ્થળથી પર એવા મનોવિજ્ઞાનના અકળ રહસ્યો એમાં સમાયેલા છે. નબળા અને સબળા વિચારો વ્યક્તિગત અને સામુહિક રીતે આદિ અનાદિ કાળથી સામસામા ટકરાયા કરે છે.  જેમ ખરા સમયે અર્જુનની કુંટુંબભાવના તેની નબળાઈ બનીને તેના પર સવાર થઈ ગઈ, તેમ આપણા જીવનમાં પણ બની શકે. તે સમયે નિર્લેપ ભાવે જીવનના યુદ્ધ, એટલે કે મુશ્કેલીઓ સામે લડવું તે ખરી કસોટી છે.

ગીતા વાંચ્યા પછી એક વિચાર ઊગે છે કે લડાઈ જાત સાથેની  હોય કે અન્ય સાથેની, સૌ સ્વજનો જ છે તેમ માનીને રાગમય અને દ્વેષમય લાગણીઓથી મુક્ત થઈ માનવ તરીકેની ફરજના રાહ પર શુધ્ધ પ્રેમમય આત્મભાવ સાથે જીવનની કપરી પળો સામે ટક્કર લઈએ, અને નિજ આત્માને જ પરમાત્મા ગણી જીવનરથનો સારથી કરીએ. ઘણુ અઘરૂં છે પણ છતાં ય અશક્ય તો નથી જ !

Posted in સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

કાળચક્ર 

તરસનો દરિયો પી અને પ્યાસ બુઝાવી આશની

ભુખની જ્વાળાને ઠારી નકોરડાં ઉપવાસથી

કામની તડપને ઝડપથી વાળી કાર્યોમાં અંતે,

ઈચ્છાઓના સ્મશાનમાં, સળગતી રાખના ઉજાસમાં

ભૂત કહે ભાવિને, તારી સંગાથે આજ આનંદ ભયો

પણ પળમાં જ હું  થયો નાનો, તું સદાય મોટો

તું પલટતો હું માં અને થાય ક્ષીણ ક્ષણે ક્ષણે

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

નમસ્કાર

લાલઘૂમ સૂર્ય

બળતો અને બાળતો

બળ્યુ આ જીવન ટકાવતો !

નમસ્કાર બળતી ધરાને

રક્ત ટપકતા સેંથે

આંસુનો વરસાદ ઝીલે

સડકના ડામ દેતા મનુષને

તો ય ધાન, પાન, સ્થાન દે!

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા