શોષણ અને મજબૂરી

હમણાં કવિ શ્રી વિવેક ટેલરની સાઈટ “શબ્દો છે શ્વાસ મારાં” પર શોષણ v/s સમર્થન વાંચ્યા પછી તેના પ્રતિભાવોમાં પણ રસ પડ્યો શ્રી ગિરિશભાઈ પરીખનો પ્રતિભાવ વાંચ્યા પછી મારા અનુભવોની વાત કરવાનું મન થયુ જે અહીં મારા બ્લોગ પર મૂકું છું પરંતુ મૂળ પ્રકરણ વાંચવા માટે http://vmtailor.com/archives/940  પર ક્લીક કરો. તેમ જ અમેરીકન પબ્લીશર સાથેના ગિરિશભાઈના અનુભવો જાણવા માટે http://girishparikh.wordpress.com/2011/01/03/part-1-my-experiences-with-american-publishers  પર ક્લીક કરો.

સાહિત્યક્ષેત્રના મારા અનુભવો:

1978 કે એ અરસાની આસપાસ મેં લખવાનું શરૂ કર્યું. મારો પ્રથમ લેખ ફૂલછાબની પૂર્તિમાં છપાયો અને તેમાં મોકલવા જ મેં લખેલ. સંયુક્ત કુંટુંબમાં ઘરની વહુ તરીકે ચારેબાજુથી થતી સાચી-ખોટી આક્ષેપબાજી વચ્ચે ક્યાંક મારી ઓળખ ઊભી કરવાની ઝંખના હતી. પ્રસિધ્ધિ માટે કે કોઈ આનંદ માટે કે કલા માટે મેં લખ્યુ નહોતુ. ઉલ્ટાનું એટલા સમયનું એકાંત આપવા મારા પતિએ બાળકોને મારી નજીક આવવા નહોતા દીધા અને એમને હું એટલો ઓછો સમય આપી શક્તી કે મને લખ્યા પછી ગિલ્ટી ફીલ થયેલ. ત્યાર પછી જ્યારે ફરી મુંઝારો થવા લાગે ત્યારે બાળકોને દૂર કરી લખવા બેસુ અને લખ્યા પછી થાય કે હાશ ઊંડો શ્વાસ લેવા મળ્યો. છપાય એટલે ગામના લોકોનો પ્રતિભાવ મળે અને એક અલગ ઓળખ ઊભી કરી શક્યાનો આનંદ થાય. એંશીના દાયકામાં થોડા(આંગળીને વેઢે ગણાય તેટલા) કાવ્યો અને સામાજીક લેખો લખ્યા અને ફૂલછાબે છાપ્યા. એક પણ રીજેક્ટ ન થવાને કારણે સ્વીકારની આશા યથાવત રહી શકી જે મને બળ આપતી રહી. ફૂલછાબે મને પુરસ્કાર આપવો જોઈએ તેવું હું નથી માનતી એટલા માટે કે વાંચકો પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે તેટલી જગ્યા તેમણે ફાળવી તે જ મારા માટે પૂરતું હતુ. ખ્યાતનામ કવિ લેખકો તો મારે માટે દેવદૂત સમા હતા જેમના દર્શનમાત્રથી હું ધન્યતા અનુભવતી. કલાકારોને દેવદૂતો માનતી હું તો કલાનો કક્કો આજે ય નથી જાણતી પણ બોસ્ટન આવ્યા પછી ખુબ નજીકના સર્કલમાં કલાકારો સાથે બેઠકો યોજાવા લાગી અને હાથમાં પકડેલી કલમ સાથે સૌએ મને સ્વીકારી એમાં ચંદુભાઈ (કવિ શ્રી ચંદ્રકાંત શાહ) બોલે ઓછું પણ મારી કવિતાઓ છપાય તો સારૂં તેવી તેમની લાગણી મને સ્પષ્ટ જોવા મળે. એવામાં શ્રી સુરેશ દલાલ બોસ્ટન આવ્યા ત્યારે ચંદુભાઈએ મારી ઓળખાણ આપી એમને મારી કવિતા પ્રગટ કરવા ભલામણ કરી ત્યારે તેમણે કહ્યુ કે પત્ર દ્વારા ઢગલો કવિતાઓ આવે છે બધી વાંચવાનો સમય નથી હોતો તમે કવર પર ચંદુભાઈનું નામ જરૂર લખજો પણ કવિતા તેની પોતાની ઓળખથી છપાય તેમાં જ મને રસ છે આથી મેં ક્યારેય એક પણ મોકલી નથી. એ પછી અમેરીકામાં છપાતાં “ગુર્જરી” સામાયિકે આંગળી પકડી અને કલમ લીટા તાણતી રહી. એમને પુરસ્કાર આપવાનું મન આપણને સામેથી થાય તેવું કામ કિશોરભાઈ ફક્ત સાહિત્યની સેવા માટે કરતાં હોય ત્યાં પુરસ્કાર માંગવો એ જ મને તો શરમજનક લાગે અને જો માંગ્યો હોત તો એમણે મારી કવિતાઓ છાપવાનું બંધ કરીને યોગ્ય જ કર્યું હોત. જેથી મારો ઉત્સાહ મંદ પડતે પણ એમને ખોટ ખાવી પડે તેવું તેઓ કરે એવી આશા કેમ રખાય? પછી ચંદુભાઈએ એકવાર કહ્યુ કે તમારી કવિતાઓનું પુસ્તક છપાવવું હોય તો કહેજો. પારિવારિક જવાબદારીને કારણે મારી પાસે ત્યારે એટલા કાવ્યો લખવાના સમયનો અભાવ હતો પણ મને કવિતા માટે પ્રેમ જરૂર વધ્યો. લગભગ 2002માં શ્રી સુરેશ દલાલે મારી કવિતા “ગુર્જરી”માં વાંચીને પન્નાબેન નાયકને ત્યાંથી ફોન કર્યો. પન્નાબેન સાથે ઓળખાણ થયેલી એટલે સુરેશભાઈના કહેવાથી ફોન જોડીને મને બંનેએ સારો પ્રતિભાવ આપ્યો અને કેટલાક ઉપયોગી સૂચનો પણ આપ્યા. તે દિવસે એવોર્ડ મળ્યા જેટલો આનંદ થયો. કશાય પ્રયત્ન વગર મળેલ આ પ્રોત્સાહને મને વધુ લખવા પ્રેરણા કરી. હવે કદાચ સુરેશભાઈ મારી કવિતા છાપે અને ધારો કે પુરસ્કાર ન આપે અને તેની ફરીયાદ હું કરૂં તો મારી પોતાની નજરમાં જ હું ઉતરી જાઉં. પુરસ્કાર આપવો કે નહી તે એમની શક્તિ અને સમજની વાત થઈ. મારે તો મૌન રહીને જ એમની કદર કરવી રહી.

મારી ખાસ મિત્ર નિલમ દોશીને ગુજરાતી પ્રકાશકોનો બહુ સારો અનુભવ છે. પણ તો ય તે કહે છે તે પ્રમાણે સારા રેફરંસ વગર તક મળવી તે અત્યારે દરેક ક્ષેત્રમાં અમેરીકામાં પણ અઘરૂ તો છે જ. આમ નવોદિતોને તક મળે તે જ બંને પક્ષે પૂરતુ ગણાય છે. એકવાર એમની માંગ ઊભી થાય પછી જ પુરસ્કાર કે રોયલ્ટી ની વાત પ્રકાશકો સાંભળે તે યોગ્ય મનાય છે. કેટલીકવાર એમાં શોષણ પણ થાય છે અને નફો કરતાં હોવા છતાં લેખકો અને કવિઓને માંગ્યા વગર ન આપવાની વૃતિ કેટલાંક પ્રકાશકોમાં હોય પણ ખરી પણ એથી કરીને ઉમદા પ્રકાશકોની સ્થિતિ સમજ્યા વગર ગાંઠના ગોપીચંદન ખર્ચી સેવા કરતાં હોય તેમણે આક્ષેપબાજીને કારણે કાં તો હિસાબ આપીને પૂરવાર કરવું પડે અથવા તો દુભાઈને સેવા છોડવી પડે તેવો ઘાટ થાય. આમ થાય તો પણ લોભી પ્રકાશકોને તો વધુ લાભ જ છે સાથે સાચા સારા લેખકોને વધુ ગેરલાભ આમ કલાનું ધોરણ ઉતરતું જાય તો નવાઈ નહી. પૈસાની વાતમાં પોલીટીક્સ ન હોય તો જ નવાઈ એટલે હવે સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં પણ રાજકારણ ઘૂસી ગયુ છે. મને લાગે છે કે કોઈ પણ ક્ષેત્રે કૌશલ્ય હોય તો ગુજરાત કરતા અમેરીકામાં ખીલવાની વધુ તક છે. ગુજરાતમાં લાયક નાપાસ થાય અને ગેરલાયક ફર્સ્ટક્લાસ પાસ થાય તેવી શક્યતા અમેરીકા કરતાં વધુ છે. ગિરિશભાઈ પરીખે ધોરણો સરખાવ્યા છે તેથી આ કહું છું બાકી મારા મતે તો આ કેળાં સાથે સફરજનની સરખામણી કરવા જેવી વાત છે.

બીજી એક વાત કે મને બંને ભાષા માટે પ્રેમ છે પણ અંગ્રેજીમાં અઘરૂં પડે છે તેથી તેમાં નથી લખતી જ્યારે માતૃભાષાનો ખોળો ખૂંદવો ગમે છે તેથી લખ્યા કરૂ છું. ગ્રાંડચિલ્ડ્રનની માતૃભાષા અંગ્રેજી અને ગ્રાંડપેરેંટ્સની ભાષા ગુજરાતી આથી કેટલોક સમય તો હાથમાં પેન પકડતાં જ બંને ભાષાઓનો મનમાં ઝગડો ચાલેલ કે કોના માટે અને કઈ ભાષામાં લખુ? મેરીયન નામની મારી અમેરીકન મિત્રએ મને આ ઝગડામાંથી છોડાવી. તેને વિશ્વ સાહિત્યમાં ખાસ કરીને સંસ્કૃત સાહિત્યમાં ઊંડો રસ છે ઈંડિયાથી સંસ્કૃત-ઈગ્લીશની ડીક્ષનેરી મારી પાસે મંગાવી હતી એટલો ઊંડો રસ ધરાવતી આ મિત્ર કહે ભાષાનો વિચાર એડીટ કરતી વખતે કરજે. લખવાની અગત્ય વધારે હોવી જોઈએ ભાષાની નહી ભલે મિક્ષ ભાષામાં લખાય પછી ફેરફાર થઈ શકશે પણ એ કારણે વિચારોના પ્રવાહને ન રોક. આ જ સિદ્ધાંત મને જોડણી બાબતે પણ કામ આવ્યો એટલે હળવાશ લાવતી અભિવ્યક્તિ શક્ય બની અને ભાષાનો ઝગડો આપોઆપ શમી ગયો માતૃભાષાએ જ વધુ સહારો આપ્યો. શબ્દો ખરેખર મારા શ્વાસ બન્યા છે. પ્રકાશકો છાપે કે ન છાપે તે પછીની વાત છે પુરસ્કાર આપે કે ન આપે તેની ય અગત્ય નથી પણ એથી કરીને શોષણ ન થાય તે કોઈકે તો વિચારવું જ રહ્યુ.

This entry was posted in પ્રતિભાવ. Bookmark the permalink.

10 Responses to શોષણ અને મજબૂરી

  1. nilam doshi કહે છે:

    bas..keep on reading and writing ..thats all..

    karelu kadi nakamu jatu nathi…”

    thats fact..sooner or later it always work..

  2. readsetu કહે છે:

    રેખા, તારા લેખ સાથે આખી ચર્ચા વાંચવાની મજા આવી. બધા મુદ્દામાં ચોક્કસ દમ છે. એમાં મારે કંઇ વિશેષ કહેવાનું નથી. તારી કવિતાની વાત. અમુક તો બહુ જ ટચી છે. કાવ્યતત્વ એમાં મળે છે. બીજી બધી વાત બાજુ પર. તું લખ્યા જ કરજે..
    લતા hirani

  3. chandravadan કહે છે:

    રેખાબેન,

    પોસ્ટરૂપે તમારૂં લખાણ વાંચ્યું !

    મારૂં ગુજરાતી ઉચ્ચ નથી…એટલે ફરી ફરી આ પોસ્ટવાંચી….અને જે સમજ પડી, તે અનેક વિચારો બાદ, આ પ્રતિભાવરૂપે લખવા હિંમત કરી છે.

    તમારો “ગુજરાતી ભાષા” પ્રત્યેનો પ્રેમ ઘણો જ ઉંડો છે. તેમજ, તમારૂં “ભાષા જ્ઞાન” પણ સારૂં છે….અને, એ જ ઉંડા પ્રેમના કારણે “લેખ કે કાવ્ય”લખવાનું તમે એનેક વર્ષો પહેલા શરૂ કર્યું.

    આજે પણ એ લેખન ચાલુ જ છે. આ તમારી સફરમાં, તમોને અનેક ” સારા કે માઠા” અનુભવો થયા.અને, એવા અનુભવોનો ઉલ્લેખ તમે તમારૂ હૈયું ખોલીને આ પોસ્ટરૂપે પ્રગટ કર્યું છે. આ

    મારૂં અનુમાન છે.

    તમે તો, સુરેશભાઈ દલાલ, પન્નબેન નાયક કે ચંદ્રકાન્ત શેઠ જેવા જાણીતા નજીક પહોંચ્યા છો..એટલા નજીક જઈ, પણ તમે અનુભવ્યું કે “નવા લેખક કે કવિ” માટે “સાહિત્ય જગત”માં પ્રવેશ

    કરવો એ સરળ નથી….પ્રકાશકો તો “જાણીતા”ઓની શોધમાં જ હોય…”જે અજાણ” છે તેઓને “જાણીતાઓ” ટેકાની ખાસ જરૂરત પડે …પણ એવો ટેકો આપનાર કેટલા ?..જો એવા જાણીતા

    હૈયેથી “ઉદાર” હોય તો, જરૂર લખાણ વાંચવાની તસ્દી લઈ, લખાણ કેવી રીતે સુધારવું એવી સલાહો આપે…પણ એવું કરવા માટે કોને સમય છે ?…આથી, “સાહિત્ય જગત”માં પ્રવેશ કરવો

    એ જાણે અશક્ય કાર્ય…..હા, કોઈક ભાગ્યશાળીને પ્રકાશક મળી પણ જાય…તો કોઈ એવા સમયે તમે ત્યાં પહોચી જાઓ કે એ પ્રકાશક “નવા લેખક કે કવિ”ની શોધમાં હોય….આ જ સત્ય છે !

    મારો વિચાર જુદી જ દિશામાં છે !હું “ગુજરાતી ભાષા જ્ઞાની”નથી, એટલે હું એવા સ્વપ્નાઓ સેવતો નથી…પણ….૧૯૮૯માં મને હાર્ટની બાયપાસ સર્જરી થઈ ત્યારે હું હોસ્પીતાલમાં હતો ત્યારે

    પ્રભુપપ્રેરણાથી થોડા “કાવ્યો જેવા”લખાણો લખ્યા. એને સાહિત્ય મુલ્ય આપે કે નહી એવી ચિંતા ના હતી..અને કોઈ “કાવ્ય” કહે કે નહી એવી ચિંતા ના હતી…એક નાની પુસ્તિકારૂપે પ્રગટ કરી, મેં

    સ્નેહીઓને આપી આનંદ અનુભવ્યો.આજે, હું “ટુંકી વાર્તા” કે “કાવ્યજવું”પ્રગટ કરૂં છું….ભાષારૂપી યોગ્ય શબ્દો ના હોય તેની પરવા નથી..ફક્ત મારૂં હૈયું ખોલી લખુંછું એનો જ આનંદ છે.

    અને હવે, તમારી પોસ્ટના અંત તરફ હું વળું છું…….તમે એક મિત્રના શબ્દોમાં ઉલ્લેખ કર્યો કે ” ભાષાનો વિચાર એડીટ કરતા સમયે કરજે…..વિચારોનો પ્રવાહ ના રોક….”

    રેખાબેન, તમારા હૈયામાં “કાવ્ય કે લેખ” જે આનંદ લાવે તે કરતા રહો….જો તમારી પાસે “શક્તિ” હોય તો પુસ્તકરૂપે પ્રગટ કરશો, અને ભલે એ માટે પ્રકાશક મળે કે નહી….એ પુસ્તક વાંચવા

    અનેક ના હોય તો પણ એક જરૂર હશે…આ પ્રતિભાવ આપનાર !

    >>ચંદ્રવદન

  4. himanshupatel555 કહે છે:

    તમારો અભિગમ વિષય પ્રત્યે યોગ્ય છે અને ગમ્યો.

  5. himanshu patel કહે છે:

    શોષણની વ્યાખ્યા શું? અમેરિકામાં કાળા ગુલામોની થઈ તે કે ગ્રીક સંસ્કૃતિમાં થઈતે કે ગુજરાતી કવિને
    ૨૫/-રૂ ન આપ્યાતે??? આ કવિતા છાપી પૈસા ન આપે તે શોષણ કહેવાય કે પ્રકાશક્ની પરિસ્થિતિ કે
    પધ્ધતિ કહેવાય.? સર્જક કાવ્ય મોક્લે ત્યારે લખે છે કે પૈસા ન આપવાના હો તો છાપશો નહી? વિશ્વમાં
    જેને small press movement કહીએ છીએ તે અમદાવાદથી-અમ્રૂત ચૌધરી-ડિવાઈન-મહેશ દવે-કદાચ સ્મર્પણ પ્રકાશન,પંકજ શાહ મુંબાઈથી ચલાવે છે જે ૧૫૦૦૦ -૮૦૦૦૦ રોકી કર્યરત છે.
    ૩૦૦ પ્રત છાપવાના અને પોસ્ટેજના તથા સ્ટોરેજના થઈચૌદ હજારથી ૧૪૫૦૦જેવા થાય,જે ૨૦૦-૫૦૦ વધે તેમાંથી ‘શોષણ v/s સમર્થન’માટે બે થી પાંચ રૂ ૧૦૦ ગઝલકારો ને વહેંચી
    શકાય -જોઈતો હું ભલામણ કરું????

  6. શ્રી રેખાબેન,

    હવે બધે જ મોનોપોલી જેવું જ છે. ઓળખીતા કે સગાને જ ટીકીટ અપાય.

    આદરણીય વિવેકભાઈ કહે છે તે બિલકુલ સાચું છે.

    “જો કવિતામાં હશે કસ તો લોકોને જરૂર પડશે રસ

    જે લખવામાં જ હશે નીરસ તેમાં ક્યાં છે કોઈ કસ ”

    અક્ષયપાત્ર એવું ભરેલું રાખો કે લોક તમારી પાસે માગવા આવે

    બસ લખ્યે રાખો .ખુબ સરસ લખો છો ……………..ધન્યવાદ

  7. વિવેક ટેલર કહે છે:

    આપે ઇ-મેઇલ દ્વારા આ લેખ વાંચવા જણાવ્યું એટલે એ બહાને આપના બ્લૉગની મુલાકાત લાંબા સમયે લઈ શક્યો…

    બધાના વિચારો અને સ્વાભિમાનની વ્યાખ્યાઓ અલગ-અલગ હોઈ શકે. મેં જે લખ્યું છે એના કારણે ભવિષ્યના સંપાદકો એમના સંપાદનોમાં મને સ્થાન ન પણ આપે પણ મને એનો ડર નથી. શોષણનું કદી સમર્થન હોઈ જ ન શકે. આપણી કૃતિમાં દમ હશે તો એને વહેલું-મોડું યોગ્ય સ્થાન મળશે જ. સર્જનને ઠેકઠેકાણે સ્થાન મળ્યું હોય પણ એમાં દમ નહીં હોય તો એ સમયના વહેણમાં નષ્ટ જ થઈ જવાનું…

    મારી કવિતામાં કસ હશે તો એ જીવશે જ…

    • વિવેકભાઈ,
      આપની વાત સાથે હું બિલકુલ સહમત છું એટલે જ મેં છેલ્લી લીટીમાં લખ્યુ છે કે “પ્રકાશકો છાપે કે ન છાપે તે પછીની વાત છે પુરસ્કાર આપે કે ન આપે તેની ય અગત્ય નથી પણ એથી કરીને શોષણ ન થાય તે કોઈકે તો વિચારવું જ રહ્યુ.”
      અને આપે આ વિચાર્યુ છે તે માટે ધન્યવાદ. તે ઉપરાંત સ્વીકારને લાયક કેટલીક કૃતિઓના અસ્વીકારને કારણે ઉગતા કલાકારો નિરાશ થઈને ક્ષેત્ર છોડી દે તેમ ન થાય તેવું કોઈ વિચારે તો એથી ફક્ત કલાકાર જ નહી સાહિત્યક્ષેત્ર ય મહેન્દ્રભાઈ કહે છે તેમ નામીઓની ઉતરતી કક્ષાની કૃતિઓને જગ્યાએ અનામીઓની ઉત્તમ કૃતિઓ પ્રગટ કરી સમૃદ્ધ થાય. એ માટે જરૂરી દ્રષ્ટિ અને હિમંત ધરાવતા કદાચ પુરસ્કાર ન આપી શકવાની સ્થિતિમાં હોય તો પણ કલાકારને જાણ કરવામાંથી તો બાતલ ન કરે તે ઈચ્છનીય છે અને શોષણનું સમર્થન હોઈ શકે જ નહી તે પાયાની વાત ધ્યાનમાં રાખી શક્ય હોય ત્યાં સુધી પુરસ્કૃત પણ થવા જોઈએ. ગુજરાતી સાહિત્યક્ષેત્રે આવા પ્રકાશકો કેટલા હશે જે સમય ફાળવી ઝીણી નજર થકી નવોદિતોમાંથી વધુ યોગ્યને જુદા તારવે અને પ્લેટફોર્મ આપે? ખેર, આપના પ્રતિભાવ માટે આભારી છું

  8. શ્રી મહેન્દ્ર શાહનો ઈ-મેલ દ્વારા પ્રતિભાવ:
    રેખાબહેન,
    સુંદર લેખ! કીશોર ભાઈને ગુર્જરી માટે મોકલી આપો. મને એવું લાગે છે કે આપણે બંને એક જ બોટમાં છીએ! આજે જ મારા વડીલ લેખક મીત્ર આનંદરાવ લીંગાયત જોડે ફોન પર વાત થતી હતી, ( એમના એક પુસ્તકના કવર પેઝની ડીઝાઈન કરૂં છું એના રેફરન્સમાં ) મારાં કાર્ટુનો અને આર્ટ વર્કથી એ એટલા પ્રભાવીત છે કે જ્યારે જ્યારે વાત થાય ત્યારે મને પ્રોત્સાહન આપવાનું છોડતા નથી, અને વાડામાંથી બહાર નીકળીને અમેરીકન પેપેરો, ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ન્યુ્યોર્કર સુધી પહોંચવાની મને કોશીષ કરવાનું કહીને હીંમત આપે છે.., હું હસી કાઢું છું, એમને કન્વીન્સ કરવાનો પ્રય્ત્ન કરૂ છું કે એ કેટલું અશક્ય છે, હંમેશાં એ મને હરાવવાના પ્રયત્નો કરે છે! અમારી બંનેની લડાઈ ચાલું છે! Back to your story.., તમારી વાત સોં એ સોં ટકા સાચી છે, આપણ ને કોઈક જાણતું હોય, કોઈક ક્નેક્શન હોય, આર્થીક રીતે સધ્ધર હોઈએ, આવાં ઘણાં બધાં ફેક્ટર્સ અસર કરતાં હોય છે! અને એક વાર ફેમસ થઈ જાવ પછી તો ગમે તે ગાર્બેજ લખો તો પણ બધા વાહ વાહ કરવાના અને લાખ્ખોમાં કમાવાના! મારાં કાર્ટુનોની બાબતમાં.., પુરષ્કાર તો બાજુંમાં ( ઘણાં પબ્લીકેશનો મારાં કાર્ટુનો છાપે છે ) પણ બધા જ directly or indirectly insist કરે છે કે મારે કાર્ટુનો એક્ષ્લ્યુઝીવલી એમના માટે જ બનાવવાં! અમેરીકામાં મારી કેરીયેરની શરૂઆત ‘૭૪માં મેં બોસ્ટનથી કરેલ, ચંદુ મારો મીત્ર.
    સાથેનું મારૂં કાર્ટુન તમારી જ વાર્તા કહે છે!
    http://sz0138.wc.mail.comcast.net/service/home/~/Exhibition%20cartoon.jpg?auth=co&loc=en_US&id=263600&part=2

    મહેન્દ્રના પ્રણામ.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.